Gujarat Rain: ગુજરાતની સાથે સાથે ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૬૦ ટકાથી વધુ જળ સંગ્રહ થયો હતો. સરદાર સરોવર યોજનામાં હાલમાં ૨,૦૪,૯૦૧ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહના ૬૧.૩૩ ટકા જળસંગ્રહ થયો છે.  જ્યારે આ સિવાય રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૩,૨૫,૯૭૨ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૮.૧૯ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેવું, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.


રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ૪૭ જળાશયો સંપૂર્ણ ભરાયા હતા જ્યારે ૧૦ જળાશયો ૯૦ ટકાથી ૧૦૦ ભરાતા હાઈ એલર્ટ જાહેર જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય રાજ્યના ૩૮ ડેમ ૭૦ ટકાથી ૧૦૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત ૨૧ ડેમ ૫૦ થી ૭૦ ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે ૪૨ ડેમ ૨૫થી ૫૦ ટકા ભરાયા છે.


આજે સવારે ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ ઉપરવાસમાં ભારે વરસાદના પરિણામે સૌથી વધુ  સરદાર સરોવરમાં ૯૨,૮૬૭  ક્યુસેક જ્યારે ઉકાઈ યોજનામાં ૮૩,૯૮૫ ક્યુસેક,  દમણગંગામાં ૫૩,૪૫૬ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.


આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૭૦.૩૨ ટકા, સૌરાષ્ટ્રના ૧૪૧ માં ૫૨.૬૮ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૫૨.૧૫ ટકા, મધ્ય ગુજરાતના ૧૭માં  ૪૫.૨૬ ટકા તથા ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૮.૩૯ ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.


વલસાડ અને નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આ બંને જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર આવ્યા છે. ભારે વરસાદના પગલે રાજ્યના અનેક રસ્તાઓ બંધ કરાયા છે.  6 સ્ટેટ હાઇવે અને પંચાયત હસ્તકના 318 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં હજુ પણ વરસાદ વરસી રહ્યો છે.  


રાજ્યના 9 અન્ય રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. નવસારી અને વલસાડ જિલ્લામાં સૌથી વધુ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.  વલસાડ જિલ્લામાં આવેલા 98 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાંઆવ્યા છે. જ્યારે  નવસારી જિલ્લામાં 101 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ છે.