ગાંધીનગરઃ રાજસ્થાનની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાન ભાજપના છ ધારાસભ્યો પોરબંદર પહોંચ્યા છે. ખાસ પ્લેન મારફતે આ ધારાસભ્ય પોરબંદર પહોંચ્યા હતા, જ્યાં ધારાસભ્યને આવકારવા પોરબંદર ભાજપના આગેવાનો અને ધારાસભ્ય બાબુભાઇ બોખીરિયા તથા જીલ્લા ભાજપના પ્રમુખ વિક્રમભાઈ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા.


મુખ્યમંત્રી અશોક ગેહલોતના સંપર્કમાં ભાજપના ધારાસભ્ય હોવાના ડરના પગલે ધારાસભ્યોને ગુજરાત મોકલાયા છે. તમામ ધારાસભ્ય પોરબંદરથી સોમનાથ પહોંચશે. જ્યાં સાગરદર્શન હોટલ માં રાત્રી રોકાણ કરશે. જિલ્લા ભાજપ નાં પ્રમુખ દ્વારા બુકિંગ કરવામાં આવ્યું છે.

12થી 15 ધારાસભ્યોને ગુજરાત ખસેડવાનું આયોજન થયાનો રાજસ્થાન ભાજપે સ્વીકાર કર્યો છે. કેટલાક ધારાસભ્યો ગુજરાત પહોંચ્યા છે. જ્યારે કેટલાક હજુ આવવાના બાકી છે. વસુંધરા જૂથના ગણાતા ધારાસભ્યોને ગુજરાતમાં સલામત સ્થળે ખસેડાશે તે નક્કી છે.

રાજસ્થાનના પ્રદેશ પ્રવક્તા રામ લાલ શર્માએ જણાવ્યું હતું કે, 12થી 15 ધારાસભ્યો બે દિવસની ધાર્મિક યાત્રા પર છે. સોમનાથ મહાદેવના દર્શન કરશે. કેટલાક ધારાસભ્ય પહોંચી ચૂક્યા છે. જ્યારે કેટલાક ધારાસભ્યો પહોંચશે. આ ધારાસભ્યો બે દિવસ પછી યોજાનારી ધારાસભ્ય દળની બેઠકમાં હાજર રહેવાના છે. સત્તીષ પુનિયાએ જણાવ્યું હતું કે, 12 ધારાસભ્યો પ્રવાસે નીકળ્યા હોવાની મારી પાસે જાણકારી છે.