અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનો કહેર છે ત્યારે થોડા રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાતના કુલ 33 જિલ્લામાંથી 6 જિલ્લાઓ કોરોના મુક્ત થઈ ગયા છે. પોરબંદર, મોરબી અને જામનગર જિલ્લામાં કોરોનાનો હાલમાં એક પણ એક્ટિવ કેસ નથી. જ્યારે દ્વારકા, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં કોરોનાનો હજુ સુધી એક પણ કેસ નોંધાયો નથી.


પોરબંદરમાં કુલ 3 પોઝિટિવ કેસ આવ્યા હતા જે તમામ ત્રણેય દર્દી રિકવર થઈને સાજા થઈ ગયા છે. પોરબંદર જિલ્લામાં કુલ 354 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે 13 લોકો હજુ પણ કોરોન્ટાઈન છે.

મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબીમાં કુલ 1 કોરોના પોઝિટિવ કેસ આવ્યો હતો જે હવે રિકવર થઈને ડિસ્ચાર્જ થઈ ગયા છે. મોરબીમાં કુલ 123 ટેસ્ટ કરવામાં આવ્યા હતાં જેમાંથી 1 કેસ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે હાલમાં 142 લોકો કોરેન્ટાઈનમાં છે.

જામનગર જિલ્લામાં પણ 1 પોઝિટિવ કેસ હતો જે હવે રિકવર થઈ ગયા છે. જામનગરમાં કુલ 1154 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 1 પોઝિટિવ કેસ આવ્યો હતો. જામનગર જિલ્લામાં હાલમાં 1236 લોકો કોરેન્ટાઈન હેઠળ છે.

આ ત્રણ જિલ્લા કોરોના મુક્ત થઈ ગયા છે જ્યારે ગુજરાતમાં અમરેલી, જૂનાગઢ અને દ્વારા એકમાત્ર એવા જિલ્લા છે જ્યાં હજુ સુધી એક પણ કોરોના પોઝિટિવ કેસ આવ્યો નથી. જુનાગઢમાં 430 ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને 1706 લોકો કોરેન્ટાઈન હેઠળ છે. અમરેલીમાં 546 ટેસ્ટ કરવામાં આવ્યા છે જ્યારે 3544 લોકો કોરેન્ટાઈન હેઠળ છે. જ્યારે દ્વારકામાં 201 ટેસ્ટ કરવામાં આવ્યા છે અને 907 લોકો કોરેન્ટાઈન હેઠળ છે.