હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામેલો છે ત્યારે મધ્ય પ્રદેશમા પડેલા ભારે વરસાદને કારણે રાજ્યની જીવાદોરી નર્મદા ડેમમાં પાણી આવકમાં વધારો થઈ રહ્યો છે. 4 દિવસથી નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા ચાર દિવસમાં 1.32 મીટરનો વધારો થયો છે. નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 35 હજાર 412 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે.


હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલા લો પ્રેશરને કારણે સમગ્ર ગુજરાતમાં 21થી 27 ઓગસ્ટ સુધી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, સુરેન્દ્રનગર, દેવભુમિ દ્વારકા, વલસાડ, જામનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, પોરબંદર અને મોરબીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં છેલ્લા 4 દિવસમાં 1.32 મીટરનો વધારો થયો છે. નર્મદા ડેમની જળસપાટીમાં વધારો એટલે ગુજરાત માટે સારા સમાચાર કહી શકાય. આજે જળસપાટી 121.32 મીટર પર પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી પાણીની આવક 35,412 ક્યુસેક થઈ છે જ્યારે હજુ પણ 1200 મેગાવોટનાં રિવર બેડ પાવર હાઉસના તમામ યુનિટી બંધ છે. ડેમમાં કુલ જીવંત જથ્થો 1453.52 મિલિયન ક્યુબીક મીટર છે.

મેઘરાજા મન મૂકીને વરસતા જળાશયોમાં પાણીની સતત આવક થઈ રહી છે. ગુજરાતમાં 57 ડેમ નવા નીરથી છલકાઈ ચૂક્યા છે. જ્યારે 98 ડેમ હાઈ એલર્ટ પર છે. જ્યારે 9 ડેમ એલર્ટ પર છે.

નજર કરી ઝોન વાઈઝ ડેમમાં પાણીના જથ્થાની સ્થિતિ પર તો સૌરાષ્ટ્રના 140 ડેમમાં 81.42 ટકા પાણીનો જથ્થો છે તો કચ્છના 20 ડેમમાં 43.39 ટકા પાણીનો જથ્થો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 29.13 ટકા પાણીનો જથ્થો છે. તો મધ્ય ગુજરાતના 17 ડેમમાં 42.43 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 73.99 ટકા પાણીનો જથ્થો છે અને રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 54.48 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત છે.