પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના હાસાપુર ગામે ત્યજી દેવાયેલ 15 દિવસનું બાળક મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. જો કે આ બાળક  અસ્થિર મગજની માતાએ જ ત્યજી દિધુ હોવાની હકીકત પોલીસ તપાસમાં સામે આવી છે.  


પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના હાસાપુર ગામનાં કોતર નજીક ઝાડી જાખરીમાં નવજાત શિશુ હોવાનું રાહદારી દ્વારા 108 ની ટીમે જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ  108 ની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી અને તરછોડી દીધેલી હાલતમા અંદાજિત 15  દિવસનું બાળક મળી આવ્યું હતું.  108 ની ટીમે બાળકની સ્થળ પર પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધૂ સરવાર અર્થે શહેરાની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. 


આ તરફ શહેરા પોલીસને સમગ્ર મામલે જાણ કરવામાં આવતા પોલીસે બાળકના વાલી વારસોની શોધખોળ શરૂ કરી હતી, પોલીસે ગણતરીના કલાકોમાં જ બાળકના  પિતાને શોધી કાઢ્યા હતાં અને પૂછપરછ હાથ ધરવામાં આવતાં ચોકાવનારી હકિકત સામે આવી હતી.  ત્યજી દેવાયેલ બાળક મૂળ ભદ્રાલા ગામના ખાતુભાઈ પગીનાઓનું હોવાનું  સામે આવ્યું છે.   પત્ની  અસ્થિર મગજના હોવાને કારણે રાત્રિના બે વાગ્યે સમય બાળકને લઈ ઘરેથી નીકળી ગયા હતા.  ત્યારબાદ હાસાપુર ગામની સીમમાં આવેલ કોતર નજીક ઝાડી જાખરામાં મૂકી ક્યાંક ચાલ્યા ગયા હતાં.  પોલીસે જરુરી કાર્યવાહી બાદ બાળકને તેનાં પિતાને સોંપવાની તજવીજ હાથ ધરી અને બાળકના માતાની પણ શોધ ખોળ શરૂ કરી છે. 


આણંદ એક્સપ્રેસ વે પર ડાકોરના યુવકની ઈકો ટ્રક પાછળ ઘૂસી ગઈ


રાજ્યમાં સોમવારની ગોઝારી શરૂઆત થઈ છે. આણંદ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતમાં ત્રણ વ્યક્તિના કમકમાટીભર્યા મોત થયા છે. ડાકોરના ત્રણ લોકોનાં મોતથી રણછોડરાયની નગરીમાં શોકનો માહોલ છવાઈ ગયો. ખંભોળજ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. મૂળ ડાકોરના યુવકે ગાડીના માલિકને વડોદરા મૂકી પરત ફરતા હતા ત્યારે મોડી રાત્રે એક્સપ્રેસ હાઈવે પર તેમની ઇકો કાર રોડ પર ઉભેલી ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી. જેમાં એક સાથે ત્રણ લોકોનાં મોત થયા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ખંભોળજ પોલીસે ટ્રક ડ્રાઇવર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.


નામ બદલી લગ્નવાંછુક હિન્દુ યુવકને ફસાવતી વધુ એક મુસ્લિમ લૂંટેરી દુલ્હન ઝડપાઈ


અમરેલી જિલ્લામાં લૂંટેરી દુલ્હનનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આ વખતે મુસ્લિમ મહિલાએ હિન્દુ યુવતિ બની લગ્ન વાંછુક યુવક સાથે લગ્ન કર્યા હતા અને 15 દિવસમાં નાસી ગઈ હતી. આ અંગે  અંગે દિનેશ જ્યાણી નામના યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, જ્યોતિ નામ ધારણ કરી ફરજાનાબાનુંએ સાવરકુંડલા ના યુવક દિનેશ જ્યાણી સાથે લગ્ન કરી રૂપિયા 90,000 પડાવી લીધા હતા. લગ્ન બાદ 15 દિવસ રહીને નાસી ગઈ હતી. દિનેશ જયાણીએ છેતરપિંડી અને વિશ્વાસઘાતની સાવરકુંડલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ  પોલીસ દ્વારા જ્યોતિ ઉર્ફે ફરજાનાબાનુને જલાલપુર વેસ્મો ગામેથી ઝડપી પાડી હતી. આ પહેલા ટોળકી સાવરકુંલાના યુવક પાસેથી રૂપિયા 1,90,000 ઝડપી લીધા હતા. બંને ગુનાના માસ્ટરમાઈન્ડ કિશોર મકવાણા અને તાહેરા ઉર્ફે કાજલને પોલીસે જેલ માંથી કબજો મેળવી ધોરણ કાર્યવાહી હાથ ધરી હતી.


વ્યાજખોરોએ જેતપુરના યુવક પાસેથી અઢી લાખના વસૂલ્યા 25 લાખ


રાજ્યભરમાં પોલીસ વ્યાજખોરો સામે કાર્યવાહી કરી રહી છે. આ માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તેમ છતાં વ્યાજખોરો ત્રાસ વર્તાવી રહ્યા છે. રાજકોટ જિલ્લાના જેતપુરમાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલા PGVCLના કર્મચારીએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. ગત મોડી રાતે હર્ષદ વણજારા નામના યુવકે ગળેફાંસો લગાવી કર્યો આપઘાત હતો. મૃતક યુવાને વ્યાજે લીધેલા અઢી લાખના વ્યાજખોરોએ 25 લાખ વસુલ્યા હતા. વ્યાજે લીધેલી રકમની દસ ગણી રકમ વસુલ્યા બાદ પણ વ્યાજખોરો હજુ વધુ પૈસા માંગતા હતા. મૃતક યુવાન વાંકાંનેર ખાતે pgvclમાં વાયરમેન તરીકે નોકરી કરતો. મૃતકે યુવાને આપઘાત પૂર્વે સુસાઇડ નોટ લખી  હતી. જેમાં ત્રણ વ્યાજખોરો મરવા માટે મજબૂર કરતા હોવાની નોંધ લખી છે. મૃતક યુવાનના મૃતદેહ ને જેતપુર સરકારી હોસ્પિટલ પીએમ અર્થ ખસેડાયો હતો. જેતપુર સિટી પોલીસ તપાસ હાથ ધરી છે.