જૂનાગઢ: ભેંસાણ તાલુકામાં બારે વરસાદે એક વૃદ્ધનો જીવ લીધો છે. ખેતરથી ઘરે આવતા આવતા સમયે પાણીના વહેણમાં તણાઈ જતા ખેડૂતનું મોત નિપજ્યું છે. બે દિવસ પહેલા ભેંસાણ તાલુકાના ચુડા ગામે કડવાભાઈ ડોબરીયા નામના ૭૨ વર્ષના વૃદ્ધ ખેડૂત પાણીના વહેણમાં તણાયા હતા. ચુડાથી વડીયા રોડ ઉપર આવેલી પોતાની વાડીથી ઘર તરફ આવતા હતા ત્યારે કડવાભાઈ પાણીના વ્હેણમાં તણાયા હતા.




NDRF અને SDRF ની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન કરીને આજે મૃતદેહને શોધી કાઢવામાં આવ્યો છે. ઢોળવા નજીક ચેક ડેમમાંથી વૃદ્ધ ખેડૂતનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહને ભેંસાણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ માટે લાવવામાં આવ્યો છે. ખેડૂતના મોતને પગલે સમગ્ર ગામમાં અરેરાટી મચી ગઈ છે.


એક જ પરિવારના 5 સભ્યોને લાગ્યો વીજ કરંટ


પાટણ વિસ્તારમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં રાધનપુરના સુરકા ગામે વીજ કરંટ લાગવાંથી એકનું મોત થયું છે જ્યારે ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે. સુરકા ગામે એક જ પરિવારના 5 સભ્યોને  વીજ કરંટ લાગતા અરેરાટી મચી ગઈ છે. ઘરમાં બોર્ડની સ્વીચ ચાલુ કરતી વખતે આ ઘટના બની હતી.


વીજ કરંટથી ગામના પૂર્વ સરપંચ વીરચંદજી ઠાકોરનું મોત થયું છે તો પરિવારના  અન્ય 4 સભ્યો ઇજાગ્રસ્ત થયા છે. વીજ કરંટથી સુરકા ગામના પૂર્વ સરપંચનું મોત તેમજ પત્ની, પુત્ર વધુ અને પૌત્ર, પુત્રીને ઈજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને રાધનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. મૃતકના મૃતદેહને પીએમ અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પૂર્વ સરંપચના મોતથી સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઈ છે.


સચિનમાં વીજ કરંટથી ઈલેક્ટ્રિશિયનનું મોત


ડાયમંડ નગરી સુરતમાં એક કરૂણ ઘટના બની છે. સચિન વિસ્તારમાં ઇલેક્ટ્રિશિયનનું કરંટ લાગતા મોત થયું છે. 30 વર્ષીય વિજય ચિત્તે પ્રરપલ નામની કંપનીમાં 10 વર્ષથી નોકરી કરતો હતો. તે સચિન ખાતે શ્રીકૃષ્ણ સ્ટીલ  કંપનીમાં ઇલેક્ટ્રીશન નું કામ કરવા ગયો હતો, કામ દરમિયાન વીજ કરંટ લાગતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. મૃતક વિજય ચિત્તે સચિન ખાતે આવેલા સરસ્વતી આવાસમાં પત્ની, 2 સંતાન સાથે રહેતો હતો. કરંટ લાગતા વિજયનું અચાનક મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થયો હતો. સચિન જીઆઇડીસી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.




સુરત શહેરમાં વરસાદના લીધે પાણી અને મચ્છરજન્ય રોગચાળો બેકાબુ બન્યો છે. જેને લીધે ગોપીપુરામાં ઝાડા થયા બાદ 8 માસની બાળકી અને અલથાણમાં તાવ આવ્યા બાદ તબિયત બગડતા આધેડનું મોત થયું હતું. નવી સિવિલથી મળેલી વિગત મુજબ અલથાણમાં ડી.આર.બી કોલેજ પાસે એસ.એમ.સી આવાસમાં રહેતા 50 વર્ષીય હરીહર ગોંડને છેલ્લા ત્રણ દિવસથી તાવ આવતો હતો. જોકે આજે ગુરુવારે સવારે તેની તબિયત વધુ બગડતા સારવાર માટે નવી સિવિલમાં લાવ્યા હતા. જયાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા. બીજા બનાવમાં ગોપીપુરામાં કાજીનું મેદાન પાસે અલસિદીકી એપાર્ટમેન્ટમાં રહેતા એઝાઝ ખાનની આઠ માસની પુત્રી ગોશીયાબાનુને આજે ગુરુવારે ઝાડા શરૃ થયા હતા. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ બાદ નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કરી હતી.