Gujarat Rain Update: હાલમાં મહિસાગર વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. તો બીજી તરફ સંતરામપુરના ખેડાપા ગામે મકાન ધારાશાયી થતા મહિલા અને બાળકીનું મોત થયું છે. જે બાદ સંતરામપુર વિધાનસભાના ધારાસભ્ય અને મંત્રી કુબેર ડીંડોરએ વિડીયો દ્વારા શોખ વ્યક્ત કર્યો હતો અને પરિવારને સાંત્વના પાઠવી હતી.


 



ભારે વરસાદને પગલે મહિસાગર જિલ્લામાં કડાણા ડેમમાં 3871 ક્યુસેક પાણીની આવક થઈ છે. કડાણા ડેમના કેચમેંન્ટ વિસ્તારમાં વરસાદને કારણે આવક નોધાઇ છે. ડેમનું લેવલ 380 ફૂટ અને 4 ઇચ છે. કડાણા ડેમની ભયજનક સપાટી 419 ફૂટ છે. સંતરામપુર તાલુકામાં 3 ઇચ વરસાદ નોંધાયો છે. કડાણા તાલુકામાં 1 ઇંચ તો બાલાસિનોર તાલુકામાં 16 mm, લુણાવાડા તાલુકામાં 15 mm વરસાદ નોંધાયો છે. જિલ્લામાં રાત્રી દરમિયાન સારો વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે. સંતરામપુર, કડાણા, ગોઠીબ, લુણાવાડા, વરધરી, દીવડા, ડીટવાસ વગેરે ગામોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 228 તાલુકામાં વરસાદ
Gujarat Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. જેના કારણે રાજ્યના અનેક જળાશયોમાં નવા નીર આવ્યા છે. આ ઉપરાંત કેટલાક ડેમો ઓવરફ્લો થવાની પણ તૈયારીમાં છે. તો બીજી રોડ રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૩ જિલ્લાના ૨૨૮ તાલુકામાં વરસાદ થયો છે.


રાજ્યમાં પડેલો વરસાદ












  • વલસાડના કપરાડા તાલુકામાં ૮ ઈંચ વરસાદ

  • વલસાડના વાપી તાલુકામાં ૬ ઈંચથી વધુ વરસાદ 

  • નવસારીના ખેરગામ તાલુકામાં પોણા છ ઈંચ વરસાદ

  • વલસાડના ધરમપુર તાલુકામાં ૫.૫ ઈંચ વરસાદ

  • વલસાડના પારડી તાલુકામાં ૫ ઈંચ વરસાદ

  • રાજકોટના ઉપલેટા તથા કચ્છના માંડવી તાલુકામાં ૪ ઈંચથી વધુ વરસાદ 

  • રાજ્યના ૧૮ તાલુકાઓમાં ૩ થી ૪ ઈંચ વરસાદ

  • રાજ્યના ૬૯ તાલુકાઓમાં ૧ થી ૩ ઈંચ વરસાદ 

  • રાજ્યમાં સીઝનનો કૂલ વરસાદ ૨૩.૪૯ ટકા થયો


મધુબન ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા


દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે વલસાડના મધુબન ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી 21327 કુયુસેક પાણી છોડાયું છે. દમણગંગા નદી બે કાંઠે વહી રહી છે. સાવચેતીના ભાગ રુપે વલસાડના કલેકટરે ટ્વીટ કરી લોકોને સચેત ક્યા છે. તેમણે દમણગંગા નદી કિનારાના લોકોને સાવચેત રહેવા સૂચન કર્યું છે. નદી કિનારાના ગામના લોકોને કિનારાથી દુર રહેવા સૂચન કર્યું છે. મધુબન ડેમમાં 28633 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. સીઝનમાં પ્રથમ વખત ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. જેને લઈને વલસાડ વહીવટી તંત્ર એલર્ટ થયું છે.


ભાદર-2 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં


તો બીજી તરફ રાજકોટના ધોરાજીમાં આવેલ ભાદર-2 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. ડેમના હેઠવાસમાં આવતા વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે. જેમાં ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણા તેમજ પોરબંદર તાલુકાના વિસ્તારોનો સમાવેશ થાય છે. નદી કાંઠા વિસ્તારમાં આવતા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપાઈ છે. તંત્ર દ્વારા નદી કાંઠાના 37 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. લોકોએ નદીના પટમાં ન જવાની તેમજ નીચાણવાળા વિસ્તારોને સાવચેતી રહેવા માટેની સૂચના અપાઈ છે. હાલ ડેમમાં 3362 ક્યુસેક પાણીની આવક થઇ રહી હોવાની પણ વિગતો સામે આવી છે. ડેમની કુલ સપાટી 53.10 મીટર છે જમાંથી હાલની સપાટી 51.30 મીટર પહોંચી છે.