ગીર સોમનાથ: સૌરાષ્ટ્રથી ધરા ફરી એકવાર ધ્રૂજી ઉઠી હતી. તાલાલામાં આજે સવારે 7.54 વાગ્યે ભૂંકપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તિવ્રતા 1.8 ની માપવામાં આવી છે અને ભૂકંપનુ કેન્દ્રબિંદુ તાલાલાથી 12 કિમી દૂર નોંધાયું હતું. વારંવાર ભૂકંપના આંચકા અનુભવાત લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
તાલાલા પંથકમાં શનિવારે ભૂકંપના વધુ બે આંચકા સાથે છ દિવસમાં 31 ભૂકંપ આંચકા નોંધાઈ ચૂક્યા છે. આ સાથે જ તાલાલામાં છ દિવસમાં 3થી વધુ તિવ્રતાના પાંચ આંચકા નોંધાયા છે.


જોકે તાલાલા પંથકમાં મોટા ભૂકંપની શક્યતા નહીંવત હોવાનો ISRના રિસર્ચર નિષ્ણાંતોનો દાવો છે. ISRના તજજ્ઞો મુજબ પાણીના સ્તરમાં ફેરફારના કારણે નાના ભૂકંપો હજુ પણ આવવાની શક્યતા છે. ભૂકંપની શક્યતાવાળા વિસ્તારોના ઝોન નક્કી કરાયા છે. જે મુજબ સૌરાષ્ટ્રનો મોટાભાગનો વિસ્તાર ઝોન-3માં આવે છે અને ત્યાં મહત્તમ 6ની તિવ્રતા સુધીના ભૂકંપના આંચકા આવવા સંભવ છે. અત્યાર સુધીમાં 4.8 સુધીની તિવ્રતાવાળા ભૂકંપના આંચકા નોંધાયા છે. સૌરાષ્ટ્રની ધરતી એ ડેક્કન વોલ્કેનિક ફ્લડ બેસાલ્ટથી ઢંકાયેલી છે એટલે કે એક પથ્થરના ટુકડા કે પ્લેટ પર નથી પણ તેમાં અનેક ફ્રેકચર્સ છે. જોકે રાહતની વાત એ છે કે કચ્છ જેવી કોઈ મોટી ફોલ્ટલાઈન નથી.