બોટાદ:  ગુજરાતમાં લાગું દારૂબંધીને લઈને સમયે સમયે અનેક સવાલો ઉઠતા રહે છે. દારૂબંધી હોવા છતા દારૂ મળવાના અનેક કિસ્સા રોજ બરોજ સામે આવતા રહે છે. હવે ફરી આવો જ કિસ્સો સામે આવ્યો છે. સામે આવેલી વિગતો અનુસાર બોટાદ જિલ્લા ભાજપના મહિલા ઉપપ્રમુખના પુત્ર સહિત ત્રણ શખ્સો વિરુદ્ધ વિદેશી દારુની હેરાફેરીની પોલીસ ફરીયાદ નોધાઈ છે. બોટાદ જિલ્લા ભાજપ મહિલા ઉપપ્રમુખના પુત્ર ઋત્વિક મનોજભાઈ રાઠોડનું નામે દારૂની હેરાફેરીમાં સામે આવ્યું છે.


ગઢડાના બાબરપરા વિસ્તારમાંથી પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે બાબરપરામાં રેડ કરતા કાર મુકીને ત્રણેય શખ્સો ફરાર  થઈ ગયા હતા. પોલીસે કારમાં તપાસ કરતાં કારમાંથી ૧૫૬ વિદેશી દારૂની બોટલ  મળી આવી હતી. પોલીસે કારનો કબ્જો લઈને ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનોનોધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.


પુર્ણેશ મોદીએ ટ્વીટ ડિલિટ કર્યા


રાજ્યના કેબિનેટ મંત્રી પુર્ણેશ મોદીએ બેટ દ્વારકામાં થોડા સમય પહેલાં કરવામાં આવેલી દબાણ હટાવાની પ્રક્રિયા અંગે ટ્વીટ કર્યાં હતાં પરંતુ થોડીવારમાં જ પુર્ણેશ મોદીએ આ ટ્વીટ ડિલીટ કરી દીધા હતા. પુર્ણેશ મોદીએ પોતાના ટ્વીટમાં બેટ દ્વારકામાં રહેતા મોટા ભાગના મુસ્લીમ લોકોના સંબંધ પાકિસ્તાન સાથે હોવાના ગંભીર આક્ષેપ પણ લગાવ્યા હતા.



પુર્ણેશ મોદીએ ટ્વીટમાં શું લખ્યું?


કેબિનેટ મંત્રી પુર્ણેશ મોદીએ કરેલા ટ્વીટમાં લખ્યું હતું કે, "બેટ દ્વારકાના મોટા ભાગના મુસ્લીમ પરીવારોના સબંધ પાકિસ્તાન સાથે છે. મોટા ભાગના પરીવારોની દીકરીઓ પાકિસ્તાનમાં સાસરે છે. તથા પાકિસ્તાનના મુસ્લીમોની અનેક દીકરીઓ બેટ દ્વારીકામાં સાસરે આવે છે.


બીજા એક ટ્વીટમાં પુર્ણેશ મોદીએ બેટ દ્વારકામાં મસ્જિદોની સંખ્યા અંગે પણ લખ્યું હતું, તેમણે લખ્યું કે, "2005ના સેટેલાઈટ મેપમાં બેટ દ્વારીકાની અંદર માત્ર 6 દરગાહો દેખાય છે. જયારે વર્ષ 2022ના સેટેલાઈટ મેપમાં અને સ્થળ ઉપર અંદાજે 78 દરગાહ, મજારો અને મસ્જિદો બની ગયેલ છે. જે દરીયા કાઠે ઉભી થઈ હોય, તેવું સ્પષ્ટ દેખાય છે. આ એન્ટી નેશનલ એકટીવીટીનો મુખ્ય ભાગ છે."


ઓખાથી બેટ દ્વારકા જવા માટે ચાલતી બોટ પણ 90 ટકા મુસ્લિમ લોકો ચલાવે છે અને તહેવારોમાં આ બોટ સંચાલકો લોકો પાસેથી 4 ગણું ભાડું વસુલતા હોવાનો આરોપ પણ પુર્ણેશ મોદીએ મુક્યો હતો. પુર્ણેશ મોદીએ અન્ય એક ટ્વીટમાં લખ્યું કે, વર્ષોથી બેટ દ્વારકા તસ્કરી કરવાનું અડ્ડો પણ બની ગયું છે. આ સાથે પુર્ણેશ મોદીએ બેટ દ્વારકામાં લવ જેહાદના ઘણા બનાવ બનતા હોવાનું પણ કહ્યું છે. જો કે, આ બધાં ટ્વીટ પુર્ણેશ મોદીએ હટાવી (Delete) દીધા હતા.