રાજકોટ: ગોંડલ ગુંદાળા ચોકડી પાસે જાનની ટ્રાવેલ્સ બસ અને યુટીલિટી વચ્ચે અકસ્માત સર્જાયો છે. જાનૈયાઓને લઈ રાજકોટથી વિસાવદર જતી બસને ગુંદાળા ચોકડી ઓવરબ્રિજ પાસે અકસ્માત નડ્યો હતો. અકસ્માત બાદ ટ્રાવેલ્સ નજીકમાં નોનવેજની લારીને અડફેટે લઈ કારખાનાની દીવાલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 15 થી 20 જાનૈયાઓનો ચમત્કારીક બચાવ થયો હતો. આ અકસ્માતની ઘટનાને લઈને લોકોના ટોળા એકઠા થયા હતા. અકસ્માત બાદ ક્રેનની મદદથી બસને બહાર કાઢવામાં આવી હતી. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. 


સુરતમાં દિલ્હીના કંઝાવાલા જેવી ઘટનામાં પોલીસને મળી મોટી સફળતા


દિલ્હીના કંઝાવલામાં જે હિટ એન્ડ રનની કાળજુ કંપાવનારી ઘટનામાં કારચાલકે એક યુવતીને પોતાની કાર સાથે ઢસડી હતી. યુવતી કારના આગળના વ્હીલમાં ફસાઈ ગઈ હતી. પરંતુ કારચાલકને જાણ સુદ્ધા નહોતી થઈ અને તેણે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. અને હવે આવી જ એક ઘટના સુરતના પલસાણામાં બની હતી.એક દંપતી બાઈક પર પસાર થઈ રહ્યુ હતું ત્યારે કારચાલકે ટક્કર મારી હતી. આ ઘટનામાં બાઈક ચાલકનો મૃતદેહ 12 કિ.મી. દૂરથી ક્ષતવિક્ષત હાલતમાં મળી આવ્યો હતો. આ દર્દનાક ઘટનામાં પોલીસ પણ હત્યારા કારચાલકને શોધવા ઝઝૂમી રહી હતી. આવામાં એક યુવાને પોલીસને એક વીડિયો આપ્યો  હતો. જે બાદ પોલીસે તપાસ તેજ કરી હતી. એલસીબી ટીમે આરોપી બિરેશ શીવાભાઈ લાડુમોરને ઝડપી લીધો છે. તેને મુંબઈથી પકડવામાં આવ્યો. અકસ્માત બાદ તેણે 12 કિમી સુધી બોડી ઘસડી હોવાનો એફએસએલની તપાસમાં ખુલાસો થયો હતો.


સુરતના પલસાણા તાલુકાના તાંતિથૈયા ગામ પાસેથી કાર ચાલકે પાછળથી બાઈકને ટક્કર મારી હતી. અકસ્માત પછી મૃતક યુવકના પત્ની રોડ પર પડી ગયા હતા. પરંતુ બાઈક ચાલક સાગર પાટિલ કથિત રીતે કાર સાથે લગભગ 12 કિમી સુધી ઢસડાયા હતા. સાગર અશ્વિનીને લઈને સુરત જઈ રહ્યા હતા.સાગર પાટિલના પત્ની અશ્વિની પાટીલને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ સાગર પાટિલનો જીવ બચી શક્યો નહોતો. સાગર પાટિલનો મૃતદેહ પણ બે દિવસ પછી ક્ષતવિક્ષત હાલતમાં મળ્યો હતો. મૃતદેહ મળ્યા પછી પોલીસે તપાસ શરુ કરી હતી.


જાગૃત નાગરિકે આ ઘટનાનો વીડિયો રેકોર્ડ કર્યો હતો


સુરત પોલીસ દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, સુરતના એક જાગૃત નાગરિકે આ ઘટનાનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. આ વીડિયોની મદદથી પોલીસને કારનો નંબર મળી શક્યો જેના આધારે આરોપીના ઘર સુધી પોલીસ પહોંચી શકી હતી.  



મહિના પહેલા લગ્ન કરનારી યુવતી રાત્રે જાગી ત્યારે પતિ ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો


સુરતના સચીન નજીક પાલી ગામમાં રહેતા અને માત્ર એક મહિના અગાઉ પ્રેમલગ્ન કરનારા યુવકે ગળાફાંસો ખાઈ લેતા ચકચાર મચી ગઈ હતી. મૂળ બિહારના અને હાલ સુરતના સચીન નજીક પાલી ગામમાં રહેતા પ્રદીપકુમાર રામે એક મહિના અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા. મોડી રાતે પત્ની ઉંઘી ગયા બાદ તેણે આત્મહત્યા કરી લીધી હતી. રાત્રે પત્નીની આંખ ઉઘડી ત્યારે પતિને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોતા બુમાબુમ કરી હતી. જેને લઈ પડોશીઓ એકત્ર થયા હતા. મૃતક સુરતમાં છુટક મજૂરી કરતો હતો. તેણે દેવું થઈ જતા વતનમાં માતાને ફોન કરી 35 હજારની જરૂર છે તેમ કહ્યું હતું. પણ માતાએ પૈસાની સગવડ નથી તેમ કહ્યા બાદ આત્મહત્યા કરી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.