ગાંધીનગરઃ આપના ઇસુદાન ગઢવીનો જામીન પર છૂટકારો થયો છે. તેમનો લિકર ટેસ્ટ પોઝિટીવ આવ્યા પછી આજે તેઓ સામે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. સવા ચાર વાગ્યે તેમની પોલીસે ધરપકડ કરી હતી. આ પછી તેમને પોલીસ સ્ટેશનમાં જ જામીન મળી ગયા હતા. તેઓ પોતાના જામીનદાર અને વકીલ સાથે જ પોલીસ સ્ટેશને હાજર થયા હતા. બપોરે 2 વાગ્યેને 8 મિનિટે તેઓ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા.


AAPના નેતા ઈસુદાન ગઢવીનો દાવો, હું મોગલ માના સોગંદ ખાઈને કહું છું કે મેં દારૂ નથી પીધો, જીંદગીમાં કદી દારૂને હાથ અડાડ્યો નથી...
અમદાવાદઃ આજે આમ આદમી પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. પત્રકાર પરીષદમાં ઇસુદાને કહ્યું કે,  હું મોગલ માના સોગંદ ખાઈને કહું છું કે મેં દારૂ નથી પીધો, જીંદગીમાં કદી દારૂને હાથ અડાડ્યો નથી. આપના નેતા ઈશુદાન ગઢવીએ નિવેદન આપ્યું હતું કે, મને મીડિયા પાસેથી જાણ્યું કે મારો લીકર ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મેં ખાનગી હોસ્પિટલમાં ટેસ્ટ કરવાની માગણી કરી હતી. મેં તપાસ અધિકારીને રીપોર્ટ અંગે પૂછ્યું તો મને કીધું કે ચિંતા કરવાની જરૂર નથી. બ્રેથએનેલાઈઝરનો મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. એસપીએ મને બચાવ્યો પરંતુ ભાજપના નેતાએ એસપીને પણ માર્યું. 


તેમણે કહ્યું કે, વિપક્ષની ભૂમિકામાં છીએ ત્યારે આવા નિમ્નકક્ષાનો આક્ષેપ કર્યા છે. મેં જિંદગીમાં ક્યારેય દારૂ પીધો નથી. મારો રિપોર્ટ શંકા ઉપજાવે છે. રિપોર્ટમાં આલ્કોહોલ દર્શાવ્યો છે તે દબાણથી દર્શાવ્યો છે. હું પોલીસ સામે સામેથી જમીન સાથે હાજર થઈશ. મારો લાઈડિટેશન અને બ્રેનમેપિંગ ટેસ્ટ કરાવવામાં આવે. જ્યાં ભાજપની સરકાર નથી ત્યાં આ ટેસ્ટ કરાવવામાં આવે. FSL માટે મારું લોહી લીધું તે લોહી સરકાર સાચવી રાખે. અમે તે લોહી અંગે કાયદાકીય લડત લડવા માંગીએ છીએ.


ઈસુદાન ગઢવી, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાની પ્રેસ કોન્ફરન્સમાં હાજર છે. દિલ્લીથી આવેલ સુપ્રિમ કોર્ટના વકીલ ઋષિકેશ કુમાર  પણ પ્રેસ કોન્ફ્રન્સમાં હાજર છે. ગુજરાત લીગલ સેલ અધ્યક્ષ પ્રણવ ઠક્કર તેમજ લીગલ ટીમના નિષ્ણાંત વકીલો પણ હાજર છે. 


આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાનું નિવેદન આપ્યું હતું. ઈશુદાન ગઢવી સામે પાયાવિહોણા આક્ષેપ કરવામાં આવ્યા છે. ઈશુદાન ગઢવી સામે થયેલા આક્ષેપો અને પોલીસ કેસ સામે લડત આપીશું. 


AAPના નેતા ઈસુદાન ગઢવીને ફરી જેલબેગા કરી દેવાશે ? જાણો ક્યા કેસમાં ધરપકડ- 
અમદાવાદઃ આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીને ફરી જેલમાં ધકેલી દેવાય એવી શક્યતા છે.  ગાંધીનગર ખાતે આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના ઇસુદાન ગઢવી સહિતના નેતાઓ અને 500થી વધુ કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરીને કમલમમાં પ્રવેશ કર્યો હતો.


ભાજપના મહિલા નેતા ડૉ. શ્રધ્ધા રાજપુતે ઇશુદાન ગઢવી પર દારૂ પીને મહિલા કાર્યકરોની છેડતીનો આરોપ મૂક્યો હતો.    ઇસુદાન ગઢવીનું બ્લડ સેમ્પલ લઇને એફએસએલમાં મોકલવામાં આવ્યું હતું. આ તપાસમાં ઇશુદાન ગઢવીએ દારૂ પીધો હોવાનું ફલિત થતા ઇન્ફોસીટી પોલીસ મથકે ઇશુદાન ગઢવી સામે ગુનો નોંધાયો છે. પોલીસે આ કેસમાં ઈસુદાનની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે તેના કારણે ઈસુદાન ફરી જેલભેગા થાય એવી શક્યતા છે.  


પેપર લીક મામલે આમ આદમી પાર્ટી  દ્વારા ગત 20 ડિસેમ્બરના રોજ બપોરના સમયે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.  જેમાં ઇશુદાન ગઢવી,  ગોપાલ ઇટાલીયા, પ્રવિણ રામ,  નિખિલ સવાણી સહિત 500 જેટલા કાર્યકરોએ કમલમમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.


આ સમયે પોલીસે હળવો લાઠી ચાર્જ કર્યો હતો.  આ સાથે ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ થયુ હતું. જેમાં ભાજપના મહિલા નેતા ડૉ. શ્રધ્ધા રાજપૂતે ગંભીર આરોપ મુક્યો હતો કે, આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ  મહિલા કાર્યકરોની છેડતી કરી હતી. સાથેસાથે ઇશુદાન ગઢવી દારૂના નશામાં હતો. આ આક્ષેપના પગલે ઈસુદાનની  તાત્કાલિક અટકાયત કરીને મેડીકલ રિપોર્ટ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. આ  સાથે પોલીસે 500  કાર્યકરો તેમજ આપના નેતાઓ સામે ગુનો નોંધીને કાર્યવાહી કરીને ધરપકડ પણ કરી હતી. બાદમાં 11 દિવસ બાદ છેવટે  ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલીયા સહિતના કાર્યકરોનો જામીન પર છુટકારો થયો હતો. 


બીજ તરફ આજે ગાંધીનગર પોલીસને એફએસએલ  દ્વારા ઇસુદાન ગઢવીના બ્લડના સેમ્પલનો રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. આ રીપોર્ટમાં ઇસુદાન ગઢવી   તે સમયે દારૂનો નશો કર્યાનો ખુલાસો થતા ઇન્ફોસીટી પોલીસ મથકે ઇસુદાન ગઢવી સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડની તજવીજ હાથ ધરવામાં આવી છે.