નર્મદા: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને જમીન મળ્યા છે. અંદાજે 40 દિવસ બાદ આપના ધારાસભ્યને જામીન મળ્યા છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા સીટના ઘારાસભ્ય ચૈતરના જામીનથી આમ આદમી પાર્ટીને મોટી રાહત મળી શકે છે. જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક સેસન્સ જજ એન. આર. જોશીની કોર્ટ ચૈતર વસાવાના જામીન મંજુર કર્યા છે. આવતીકાલે ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી બહાર આવશે. 


આપના ધારાસભ્ય ચૈતર વસાવા પર વનકર્મીઓને માર મારવા અને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવાનાં ગુન્હામાં રાજપીપળા જેલમાં બંધ કરવામાં આવ્યા હતા. ચૈતર વસાવાને જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી નર્મદા જિલ્લાની હદમાં બહાર રાખવાની શરતે જામીન આપ્યા છે. કોર્ટે એક લાખ રૂપિયાના શરતી જામીન મંજૂર કર્યા છે. ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી નર્મદા અને ભરૂચ સિવાયના વિસ્તારમાં રેહવાનું રહેશે.  


ચૈતર વસાવા ભરૂચ બેઠકથી લડશે લોકસભા ચૂંટણી


દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માને ભરૂચના નેત્રંગમાં જનસભાને સંબોધી હતી. નેત્રંગમાં જનસભાને સંબોધતા કેજરીવાલએ  મોટી જાહેરાત  કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભરૂચ લોકસભા માટે  ચેતર વસાવા આપના ઉમેદવાર છે. ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવા લોકસભા ચૂંટણી લડશે. ષડયંત્ર રચી જો ચૈતર વસાવાને જેલની બહાર ન આવવા દીધા તો તેઓ જેલમાંથી પણ ચૂંટણી લડશે.


ચૈતર વસાવા આદિવાસી સમાજનો સિંહ: ભગવંત માન



પંજાબના સીએમ ભગવંત માને જનસભાને સંબોધતા કહ્યું હતું કે,  ચૈતર વસાવા આદિવાસી સમાજનો સિંહ છે. ભાજપ ક્યારેય તેને ડરાવી, ધમકાવી નહીં શકે. ચૈતર વસાવાને પિંજરામાં પુરીને ભાજપ ઘાસ નાંખશે તો નહીં ખાય. ચૈતર વસાવા પોતાનો શિકાર જાતે કરશે.



કોણ છે ચૈતર વસાવા


ગુજરાત વિધાનસભાના ચૂંટણીમાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડા સીટ પરથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાની જીત થઈ હતી. આ બેઠક પર ચૈતર વસાવાને એક લાખથી વધુ વોટ મળ્યા હતા. જ્યારે બીજા નંબરે રહેલા ભાજપના ઉમેદવાર હિતેશકુમાર દેવજીભાઈ વસાવાને 60 હજારથી વધુ મોટ મળ્યા હતા. ચૈતર વસાવા સામાન્ય પરિવારમાંથી આવે છે. તે 10-12 વર્ષથી સક્રિય રાજકારણમાં છે. તેમના પત્ની શકુંતલા વસાવા બે વખત નર્મદા જિલ્લા પંચાયતનાં સભ્ય રહી ચૂકી છે અને હાલ પણ સભ્યપદે છે, તેમના દાદા ભંગડાભાઈ વર્ષોથી ખેત-મજૂરી કરતા હતા. તેમને પાંચ પુત્રો છે, જેમાં તેમના પિતા દામજીભાઈ વસાવા સૌથી મોટા છે. તેમને પણ ચાર બહેન અને પાંચ ભાઈ છે.