મહીસાગર: બાલાસિનોરમાં ગમખ્વાર અકસ્માતમાં ત્રણના લોકોના મોત થયા છે. બાલાસિનોર બસ સ્ટેશન પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક પર સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. બાઇક પર સવાર પતિ પત્ની અને બાળક હોવાનું અનુમાન છે. હાલમાં બાલાસિનોર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


અમદાવાદમાં મકાન થયું ધરાશાયી


અમદાવાદ: શહેરમાં ભૂવા પડવાનો સીલસીલો હજુ થમ્યો નથી ત્યાં બીજી આફત સામે આવી છે. અમદાવાદ શહેરના લાખા પટેલની પોળમાં એક મકાન ધરાશાયી થયું છે. આ દૂર્ઘટનામાં ત્રણ વ્યક્તિઓ દટાયા હોવાના પ્રાથમિક સમાચાર છે. ઘટનાને પગલે અલગ અલગ ત્રણ સ્ટેશનથી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે જવા રવાના થઈ છે. મળતી માહિતી પ્રમાણે અંદાજે 3.20 કલાકે ઘટના બની હતી. મકાન ધરાશાયી થતા આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.


ધંધુકા-બગોદરા રોડ પર ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકોના મોત


ધંધુકા બગોદરા રોડ હરિપુરા પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. ટ્રક અને કાર સામ સામે ધડાકાભેર અથડાતાં એક જ પરિવારના પાંચ સભ્યોનાં મોત થયા છે. તમામ મૃતકો ધંધુકા તાલુકાના ઝિઝર ગામના વતની હોવાની માહિતી સામે આવી છે. હાલમાં 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી છે.


એરફોર્સમાં ફરજ બજાવતા ગુજરાતના યુવાનનું મોત



એરફોર્સમાં ફરજ બજાવતા કોડીનારના દુદાના ગામના યુવાનનું મોત થતા અરેરાટી મચી છે. પ્રાથમિક રીતે સુસાઇડ કર્યાનું વાત સામે આવી છે. બંદુકની ગોળી જાતે જ ગળાના ભાગે ધરબી હોવાનું બહાર આવ્યું છે. ઇંગ્લિશમાં લખેલી એક સુસાઇડ નોટ પણ વહેતી થઈ છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ભૂખ ન લાગવી અને ઊંઘ ન આવતી હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવી છે. જો કે, સમગ્ર હકીકત પીએમ રિપોર્ટ અને તપાસ બાદ જ બહાર આવશે.


આ અંગે વિગતે વાત કરીએ તો, અવાડીમા એરફોર્સ સ્ટેશન પર ફરજ બજાવતા 22 વર્ષીય યુવકે બુધવારે સાંજે ફરજ પર હતા ત્યારે કથિત રીતે પોતાની જાતને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. પ્રાથમિક તપાસમાં એવું સૂચન કરવામાં આવ્યું હતું કે, તે નારાજ હતો કારણ કે તેને એરફોર્સમાં ઓફિસર બનવાની પરીક્ષાની તૈયારી માટે સમય ન મળ્યો. મૃતકની ઓળખ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરના વતની નીરવ ચૌહાણ તરીકે થઈ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે નીરવ ચૌહાણે 21 ઓગસ્ટના રોજ તેની તાલીમ પૂર્ણ કરી હતી અને ત્યારથી તે અવાડીના એરફોર્સ સ્ટેશનમાં પોસ્ટેડ છે.




પોલીસે જણાવ્યું કે, નીરવને બુધવારે મુખ્ય પ્રવેશ દ્વાર પાસે સુરક્ષાની વિગતો પર તૈનાત કરવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે સાંજે લગભગ 4 વાગ્યાની આસપાસ નીરવે તેની પાસે જે સર્વિસ હથિયાર હતું તે લઈ લીધું હતું અને પોતાને ગોળી મારી દીધી હતી. ગોળીબારનો અવાજ સાંભળીને ફરજ પરના અન્ય કર્મચારીઓ તેને બચાવવા દોડી ગયા અને તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો.