સુરેદ્રનગર: લીમડી અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો છે જેમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે. આ અકસ્માત કાર અને ખાનગી બસ વચ્ચે સર્જાયો છે. ઈજાગ્રસ્તોને સ્થાનીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના કારણે હાઈ-વે પર ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. હવે આ અકસ્માત મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર રાજકોટના યુવાનો રાજસ્થાન લગ્ન પ્રસંગે જતા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો.


મહીસાગર: પ્રાથમિક શાળામાં છતના પોપડા પડતા 4 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત


મહીસાગર: સંતરામપુર પ્રતાપપુરા પ્રાથમિક શાળામાં એક દુર્ઘટના સામે આવી છે. જ્યાં શાળાની છતના પોપડા પડતા ચાર વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. આ તમામ ઘાયલ વિદ્યાર્થીઓને સારવાર અર્થે સંતરામપુર શહેરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રતાપપુરા પ્રાથમિક શાળામાં વય નિવૃત્તિ સન્માન સમારંભ સમયે આ દુર્ઘટના બની છે. વર્ષ 2015-16થી 4 વર્ગખંડને ડિસમેન્ટલ જાહેર કરવામાં આવ્યા છે છતાં વર્ગખડને તોડવામાં ન આવ્યા. નોંધનાય છે કે, ગુજરાતની શાળાઓને લઈને છેલ્લા ઘણા સમયથી રાજનીતિ થઈ રહી છે ત્યારે હવે આ ઘટના બનતા વધુ વિવાદ સામે આવે તો નવાઈ નહીં. દિલ્હીના ઉપમુખ્ય મંત્રી અને શિક્ષણમંત્રી મનિષ સિસોદિયાએ પણ ગુજરાતની શાળાઓ અંગે ગંભીર આક્ષેપો કર્યા હતા.


નરેશ પટેલ ભાજપના ક્યા નેતાઓ સાથે રથમાં બેસીને નિકળ્યા ?


જામનગર: ગુજરાતના જાણીતા પાટીદાર આગેવાન નરેશ પટેલ ક્યારે રાજકારણમાં જોડાશે તેને લઈને રોજે રોજ નવી નવી અટકળો થતી રહે છે. નરેશ પટેલ કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે તેવી વાતો ઘણા સમયથી ચાલી રહી છે. જો કે, તેની તારીખ હજી સુધી સામે આવી નથી. તો બીજી તરફ હવે નરેશ પટેલ ભાજપના નેતાઓ સાથે જોવા મળતા રાજકારણ ગરમાયું છે.


હકિકતમાં નરેશ પટેલ જામનગરના મહેમાન બન્યા હતા. જ્યાં તેઓ જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના યજમાન પદે શરૂ થયેલી ભાગવત સપ્તાહની પોથી યાત્રામાં જોડાયા હતા. સૌથી મોટી વાત એ છે કે આ પોથી યાત્રા દરમિયાન તેઓ જે રથમાં બેઠા હતા તેમા ભાજપના નેતા વરુણ પટેલ, અલ્પેશ ઠાકોર અને શંભુપ્રસાદ ટૂંડિયા પણ હાજર હતા. હવે આ પોથી યાત્રાની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. જેને લઈને ઘણી અટકળો પણ કરવામાં આવી રહી છે. આ સપ્તાહમાં ભાજપના અન્ય નેતાઓ પણ હાજર રહ્યા હતા જેમા વરિષ્ઠ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આર.સી.ફળદુનો પણ સમાવેશ થાય છે. નરેશ પટેલે આ તમામ નેતાઓ સાથે વાતચીત કરી હતી અને એક જ રથમાં જોવા મળ્યા હતા. હવે બધાની નજર નરેશ પટેલ દ્વારા કરવામાં આવી રહેલા સર્વે પર ટકી છે. નરેશ પટેલે પહેલા પણ કહ્યું હતું કે, મારા રાજકારણમાં પ્રવેશવાને લઈને સર્વે ચાલી રહ્યો છે. એ સર્વેનું પરિણામ આવશે ત્યાર બાદ રાજકારણમાં જોડાવા અંગે હું નિર્ણય લઈશ.