Weather Update:હવામાન વિભાગની આગાહી મુજબ હાલ  3 મે થી 7 મે સુધી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ફરી કમોસમી વરસાદ થઇ શકે છે.


હવામાન વિભાગની આગાહી મુજબ હાલ 30 એપ્રિલ અને 1 મેની આસપાસ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ હાલ ગુજરાત પર અરબર સાગર પરથી પવન આવી રહ્યો છે.જેથી થન્ડરસ્ટોર્મ સિસ્ટમ એક્ટિવ થતાં રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડવાનો અનુમાન છે. હાલ પાકિસ્તાની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન છે તો ઉત્તર ભારત પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે જેના કારણે આવનાર દિવસોમાં મધ્યપ્રદેશથી લઇને ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે.


વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે હજુ પણ એટલે 1 મે બાદ પણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોથી લઇને મધ્યગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે.સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં આ સમય દરમિયાન વધુ વરસાદ પડી શકે છે. આ સિવાય ખેડા, આણંદ, ગાંધીનગર, અમદાવાદમાં પણ વરસાદી માહોલ રહેશે. તો પૂર્વ ગુજરાતના વિસ્તાર મહીસાગર,દાહોદ,પંચમહાલમાં પણ આગામી 1 મે બાદ વરસાદી માહોલ રહી શકે છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારમા પણ વરસાદ પડી શકે છે.


હવામાન વિભાગના અનુમાન મુજબ 1 મે બાદ 2 અને 3 મેએ વરસાદનું જોર ઘટી જશે અને તાપમાનમાં એકથી 2 ડિગ્રીમાં વધારો થઇ શકે છે પરતુ 3 મે બાદ ફરી કમોસમી વરસાદની શક્યતા પ્રબળ બની રહી છે. 4 અને 5 મેએ ગુજરાતમાં ફરી વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદની પ્રબળ શક્યતા જોવા મળી રહી છે. 7 મે સુધી ગુજરાતના કેટલાક વિસ્તારમાં છૂટછવાયો વરસાદ પડી શકે છે.


હવામાન વિભાગની આગાહી મુજબ સુરતમાં આજે  સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો અહીં  ના અડાજણ પાલ વિસ્તાર માં સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો તો વહેલી સવારે વરસાદી માહોલ જામતા વિઝિબિલિટી પણ ઘટી હતી જેથી વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ સાથે વરસાદના કારણે વાતાવરણ   ધૂંધળું થઇ ગયું હતું.


 વડોદરાના  ડભોઇ પંથકમાં  વહેલી સવારથી કમોસમી વરસાદ મંડાયો છે. ગતસાંજે ચનવડા,ધરમપુરી,વડજ,તેનતળાવમાં  પણ માવઠુ થયું હતું. વહેલી સવારે નગરના મહુડી ભાગોળ, ઝારોલાવગા, લાંઠીબજાર, ટાવર બજાર ડેપો સહિત વિસ્તારોમાં કમોસમી વરસાદ  થતાં અનક વિસ્તારમાં પાણી ભરાયા હતા. કમોસમી વરસાદના પગલે ઉનાળુ પાકની ખેતી કરતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ખેડૂતોના પાકને નુકસાનની ભિતી સેવાઇ રહી છે.