યાત્રાધામ અંબાજી ખાતે લાખોની સંખ્યામાં માઈભકતો દર્શનાર્થે પધારે છે. યાત્રાળુઓને માતાજીના પ્રસાદ તરીકે મોહનથાળ પ્રસાદ વિતરણ કરવામાં આવે છે. ત્યારે પ્રશાસને હવે મોહનથાળનો પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ અક્ષય પાત્રની સંસ્થા ટચ ફાઉન્ડેશનને આપવામાં આવ્યો છે. મોહિની કેટરર્સને બ્લેકલિસ્ટ કર્યા બાદ યાત્રાધામ વિકાસ બોર્ડે નિર્ણય કર્યો છે. ટચસ્ટોન ફાઉન્ડેશનને અગાઉ 2012 થી 2017 સુધી પ્રસાદની કામગીરી સંભાળી હતી.


નોંધનીય છે કે, મોહનથાળ પ્રસાદની સંતોષકારક અને સુચારુ સંચાલનને ધ્યાને રાખી તદન હંગામી ધોરણે મોહની કેટરર્સને ટેન્ડર પ્રક્રિયાના આધારે આપવામાં આવી હતી.


ભાદરવી પુનમ મહામેળો-ર૦ર૩માં યાત્રિકોને જરૂરીયાત મુજબનો મોહનથાળનો પ્રસાદ મળી રહે તે હેતુસર એક માસ માટે કોન્ટ્રકાટ આપવામાં આવેલ અને એજન્સી પાસેથી તા.૧/૯/ર૦ર૩ થી ૩૦/૯/ર૦ર૩ સુધી પ્રસાદ સંચાલનની કામગીરી લેવામાં આવેલ.


આ અગાઉ વર્ષ ર૦૧૨ થી ર૦૧૭ સુધી ટચ સ્ટોન ફાઉન્ડેશન અમદાવાદને સરકારની મંજુરી અન્વયે મોહનથાળ પ્રસાદ સંચાલનની કામગીરી સોંપેલ હતી. હાલની મોહનથાળની ગુણવત્તા અને ઉપલબ્ધતા જળવાઈ રહે તે વ્યવસ્થા કરવી અત્યંત જરૂરી હોઈ ટચ સ્ટોન ફાઉન્ડેશનની દરખાસ્ત અન્વયે મંદિર ટ્રસ્‍ટ ધ્વારા સરકારમાં આ કામગીરી ટચ સ્ટોન ફાઉન્ડેશનને સોંપવા ૨૯/૦૮/૨૩ના પત્રથી ભલામણ કરેલ. જે અન્વયે તા.૩/૧૦/ર૦ર૩ના પત્રથી અંબાજી મંદિરના પ્રસાદ બનાવવાની કામગીરી ટચ સ્ટોન ફાઉન્ડેશન અમદાવાદને છ માસ માટે સોંપવા અનુમતિ મળેલ છે. જેને અનુલક્ષીને અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદની કામગીરી અગામી છ માસ માટે ટચ સ્ટોન ફાઉન્ડેશનને સુપ્રત કરવામાં આવેલ છે. જેની જાણ લેવા વિનંતી છે.


ભાદરવી પૂનમના મેળા પહેલાં ફૂડ વિભાગે અંબાજી મંદિરના ભોજનાલયમાં પ્રસાદના સ્થળેથી ઘીના સેમ્પલ લીધા હતા. જે બાદ રિપોર્ટમાં ખુલાસો થયો કે ઘીમાં ભેળસેળ હતી. અંબાજી મંદિરમાં મોહનથાળના આ પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ મોહિની કેટરર્સને અપાયો હતો. મોહિની કેટરર્સના સંચાલક પ્રમાણે અમૂલના લોગોવાળું ઘી અમદાવાદથી લાવવામાં આવ્યું હતું. ઘી શંકાસ્પદ લાગતા તેનો ઉપયોગ નહોતો કરાયો અને બાદમાં બનાસ ડેરીમાંથી ઘી લવાયું હતું.  સંચાલકે તો દાવો કર્યો હતો કે તેમની સાથે છેતરપિંડી થઈ છે  કેમ કે તેમને જ નકલી ઘી પધરાવી દેવામાં આવ્યું હતું.  તો આ અંગે ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ વિભાગના કમિશ્નર ડૉ. હેમંત કોશિયાના જણાવ્યા પ્રમાણે મોહિની કેટરર્સે જ સસ્તાની લ્હાયમાં ભેળસેળિયું ઘી લીધું હતું.