ગુજરાત હાઈકોર્ટના જજ જી.આર. ઉધવાણીનું કોરોના વાયરસના કારણે નિધન થઈ જતા તેમના શોકમાં રાજ્યની તમામ કોર્ટ અને કચેરીઓ આવતીકાલે સોમવારે બંધ રહેશે. ગુજરાત હાઈકોર્ટની રજીસ્ટ્રી વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવાયુ છે કે ગુજરાત હાઈકોર્ટના જજના નિધનના માનમાં તમામ કોર્ટ બંધ રહેશે.


ગુજરાત હાઈકોર્ટની રજીસ્ટ્રી દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ ગુજરાત હાઈકોર્ટના સીટીંગ જજ જસ્ટિસ જી.આર. ઉધવાણીના નિધનના શોકમાં રાજ્યની તમામ કોર્ટ અને કચેરીઓ બંધ રહેશે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ પણ 7મી ડિસેમ્બર થી 11મી ડિસેમ્બર સુધી ઉપલબ્ધ નથી. આ સિવાય જસ્ટિસ જી.આર. ઉધવાનીના 7 અને 8 ડિસેમ્બરના રોસ્ટરમાં લાગેલા કેસ જસ્ટિસ વી.એમ. પંચોલી સાંભળશે.

ગુજરાત હાઈકોર્ટના સિનિયર ન્યાયાધીશ જી.આર. ઉધવાણીનું શનિવારે વહેલી સવારે કોરોનાના કારણે 59 વર્ષની વયે અમદાવાદના સાલ હોસ્પિટલમાં અવસાન થયું હતું. અગાઉ તેઓ ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ પણ રહી ચૂક્યા છે.

ગત મહિને ગુજરાત હાઈકોર્ટના ત્રણ ન્યાયાધીશનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. નોંધનીય છે કે હાલમાં થોડા સમય પહેલા ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ અનંત દવેનું પણ અવસાન થયું હતુ. જસ્ટિસ જી.આર. ઉધવાણી ની વર્ષ 2004માં ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણુંક કરવામાં આવી હતી. 2011 થી 2012 વચ્ચે તેઓ ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ પણ રહી ચૂક્યા છે.

મૂળ અમદાવાદના વતની જસ્ટિસ જી.આર. ઉધવાણીએ 1986માં એલ.એ લૉ કોલેજમાંથી LLB કર્યું હતુ. 1987માં તેમણે વકીલાત તરીકેની પ્રેક્ટીસ શરૂ કરી હતી. વર્ષ 1997માં અમદાવાદ સીટી સિવિલ અને સેશન્સ કોર્ટના જજ તરીકે નિમણુંક કરવામાં આવી હતી.