યાત્રાધામ અંબાજીમાં આ વર્ષે પોષી પૂનમની ધામધૂમપૂર્વક ઉજવણી નહીં થાય. મા અંબાના પ્રાગટ્ય દિવસ એટલે પોષી પૂનમ પર દર વર્ષે આ દિવસની ઉજવણી માટે એક માસ પૂર્વે જ તૈયારીઓ આરંભી દેવાતી હોય છે. પરંતુ, આ વર્ષો કોરોના મહામારીના પગલે પોષી પૂનમની ધામધૂમપૂર્વક ઉજવણી નહીં કરવાનો નિર્ણય કરાયો છે.


અંબાજીમાં પ્રાગટ્યોત્સવ આ વર્ષે સાદગીપૂર્ણ રીતે ઉજવવામાં આવશે. પૂનમે માતાજીના ચોકમાં વર્ષોથી થતાં મહાશક્તિ યજ્ઞમાં માત્ર 25 થી 30 યજમાનોની પૂજા વિધિ કરવામાં આવશે. આ પૂજા વિધિ પણ કોરોનાની ગાઈડ લાઈન મુજબ જ કરવામાં આવશે.

જયારે માતાજીની શોભાયાત્રા, નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા, સુખડી વિતરણ, સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરે મોકૂફ રાખવામાં આવ્યા છે. જો કે, પોષી પૂનમના દિવસે ભક્તો માતાજીના દર્શનથી વંચિત ના રહે તે માટે મંદિર ખુલ્લુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દર્શનાર્થીઓ સોશલ ડિસ્ટન્સ અને કોરોનાની ગાઈડલાઈન્સ મુજબ દર્શન કરી શકશે.