Ambalal Patel Forecast: સમગ્ર રાજ્યમાં હાલ મેઘરાજા મન મૂકીને મહેર કરી રહ્યા છે. આગાહી હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની કરવામાં આવી હતી. જે અંતર્ગત ભાદરવા માસના  પ્રારંભથી

   મેઘરાજા રાજ્ય ઉપર મહેરબાન થયા હોય તે પ્રકારે પોતાની અસર બતાવી રહ્યા છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ આગાહી કરી છે.


અંબાલાલ પટેલે શું કરી આગાહી


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું, આગામી 20 તારીખ સુધી હજુ પણ વરસાદનું જોર યથાવત રહેશે. કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. સિસ્ટમ દરિયા વિસ્તાર તરફ જઈ રહી છે ત્યારે બનાસકાંઠા, કચ્છ, જામનગર અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે. ઓક્ટોબર માસમાં અરબી સમુદ્રમાં એક ચક્રવાત સર્જાશે, જેની ગતિ 150 કિલોમીટરથી પણ વધુ રહેવાની શક્યતા છે. 12 ઓકટોબરે તમિલનાડુ વિસ્તારમાં આ સિસ્ટમ આવવાની શક્યતા રહેશે, જેના કારણે દેશના દક્ષિણ પૂર્વીય વિસ્તારમાં ભારે પવન ફૂંકાશે. આ ચક્રવાતના પગલે ઓકટોબર માસના મધ્ય ભાગમાં ગુજરાતમાં વરસાદ થશે.




રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદ જામ્યો છે. જ્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 248 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વિસાવદરમાં સૌથી વધુ 12 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે મેદરડા, રાધનપુરમાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે. બેચરાજી અને ભાભરમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ દરમિયાન 124 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ઉપરાંત 33 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. 


હવામાન વિભાગ અનુસાર, આવતીકાલે બુધવારે વરસાદનું જોર ગુજરાતમાં ઓછુ રહેશે, પરંતુ સૌરાષ્ટ્રના પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે, તો અન્ય જિલ્લામાં ક્યાંક ક્યાંક હળવો મધ્યમ વરસાદ થઈ શકે છે.


રાજ્યમાં ચાલુ સિઝનનો કેટલો થયો વરસાદ


રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 99.27 ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 144.80 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 117.38 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 94.27 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 87.23 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં 94.56 ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે.



ગણેશ ચતુર્થી પર કેમ ન કરવા જોઈએ ચંદ્ર દર્શન, ભૂલથી જોવાઈ જાય તો શું કરો