અમરેલીઃ રાજુલા ખાખબાઈ ગામે આવેલ ચામુંડા આશ્રમના સાધ્વી રેખાબેનની કુવાડાના 20-20 ઘા મારીને હત્યા કરેલ મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તાર અને સેવક સમુદાયમાં અરેરાટી ફેલાઈ ગઈ. સ્થાનિક પોલીસે કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે રાજુલા સરકારી દવાખાને ખસેડાયો છે. હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે કવાયત હાથ ધરી છે. મૃતક સાધ્વીના બહેને રાજુલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. 


ખાખબાઈ ગામે આવેલ ચામુંડા આશ્રમમાં નમો નારાયણના નામથી છેલ્લા 15 વર્ષથી પૂજા કરી રહેલા સાધ્વી રેખાબેન રાવળદેવ રહેતા હતા અને સાંજના સમયે જ્યારે ગાય દોહ્વા ગયા ત્યારે તેમના શિષ્ય અરવિંદભાઈ ડાભી સંતાઈને બેઠા હતા અને તિક્ષ્ણ હથિયારના એકથી વધારે ઘા મારી પોતાના ગુરુ નમો નારાયણ ઉર્ફે રેખાબેનનું મોત નિપજાવ્યું, જેની ફરિયાદ રાજુલા પોલીસ મથકે મૃતક સાધ્વીના બહેન મધુબેન રાવળદેવે લખાવી છે. 


સાધ્વીની હત્યાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર સરકારી હોસ્પિટલે પહોંચ્યા. મૃતક સાધ્વીના પરિવાર સાથે વાતચીત કરી. છેલ્લા 15 વર્ષથી આશ્રમમાં રહી પૂજા કરી રહેલા દશનામ અખાડાના સાધ્વીજીનું તાત્કાલિક તેમનું પીએમ થાય એવી તજવીજ હાથ ધરી.સાધ્વીજીના પરિવાર પાસેથી મળતી માહિતી મુજબ, તેમના કહેવાતા ચલાએ પૈસાની લેતી-દેતી બાબતે વેર ઝેર રાખી તેમની હત્યા કરી હોવાનું પરિવારના સભ્યશ્રી એ જણાવ્યું હતું. સ્થાનિક ગ્રામજનો પાસેથી જે માહિતી મળી છે તેના આધારે વાત કરીએ તો છરી અને કૂવાડા ૨૦થી વધુ ઘા મારી ઘાતકી હત્યા કરી હોવાની પણ વાતો સામે આવી રહી છે. 


ખાખબાઈના ચામુંડા આશ્રમના સાધ્વીની સાંજના સમયે તિક્ષણ હથિયારના ઘા મારી હત્યા કરનાર આજ આશ્રમમાં રહેતો અને અવારનવાર સાધ્વીજી પાસે આશ્રમની જમીન આપવાની માંગ કરતો. છેલ્લા પંદર દિવસથી આશ્રમથી જતો રહ્યો હોય. ગઈ કાલે સાંજના સમયે આવી સાધ્વીજી જ્યારે ગાય દોહ્વા બેઠા હતા તે સમયે આ અરવિંદ ગોબરભાઇ ડાભી નામના શખ્સે હત્યા કરી હોવાનું સાધ્વીજીના બહેને રાજુલા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.હાલ આરોપીને પકડી લેવા ના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.