સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે છેલ્લા એક મહિનામાં અમરેલીમાં કોરોનાના કહેરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈને અમરેલી કલેક્ટરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. બહારથી આવતાં લોકો માટે ખાસ નિયમ બનાવવામાં આવ્યો છે. અમરેલી નજીક ચાવન ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી છે. સુરત, અમદાવાદ કે મુંબઈથી આવતાં લોકો માટે અમરેલી જિલ્લામાં એન્ટર થતાં પહેલા ચાવન ચેકપોસ્ટ પર સ્કેનિંગ કરવામાં આવશે.


અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડેલ જાહેરનામામાં સુરત, અમદાવાદ કે મુંબઈથી અમરેલી જિલ્લામાં પ્રવેશવા માંગતા મુસાફરો/વાહનોને લાઠી તાલુકાના ચાવંડ ચેક પોસ્ટ પરથી જ પ્રવેશ મળશે અને ત્યાં ફરજીયાત આરોગ્ય ચકાસણી અને સ્ક્રેનિંગ કરીને જ જિલ્લામાં પ્રવેશ કરવાનો રહેશે.

અમરેલી જિલ્લા વહીવટીતંત્રએ કોરોના સંક્રમણ અટકાવવા અને કોરોના પોઝિટિવ દર્દીને તાત્કાલિક સારવાર મળી રહે અને મૃત્યુ દરમાં ઘટાડો થાય તે માટે આજથી એટલે કે તારીખ 15 જુલાઈથી ચાવંડ ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી છે. આ ચેકપોસ્ટ પર આવનારા સુરત અમદાવાદ અને મુંબઈના તમામ પેસેન્જરોને ત્યાં ચકાસણી કરવામાં આવશે ત્યાર બાદ શંકાસ્પદ હોય તે જરૂરી હોય તો તેને સીધા જ કોવિડ હોસ્પિટલ લઈ જવામાં આવશે.