અમરેલીઃ ગુજરાતમાં વાવાઝોડાની અસરને પગલે રાજ્યના અમરેલી જિલ્લામાં અતિ ભારે વરસાદ થયો છે. બીજી તરફ વડોદરા NDRFની એક ટીમ અમરેલી જિલ્લામાં તૈનાત રાખવામાં આવી છે. ત્યારે બુધવારે રાત્રે કારી નદીમાં ઉમટેલા ઘોડાપૂરમાંથી બે યુવાનોને ઉગારી લેવાયા હતા.


NDRF તરફથી મળેલી માહિતી પ્રમાણે, અમરેલીના લીલીયા તાલુકાના ભોરીંગડા ગામ નજીક મધ્યપ્રદેશના બે યુવાનો કારી નદીના ઉછળતા જળમાં ફસાઇ ગયા હતા. આ ઘટનાની ખબર મળતાં એનડીઆરએફની ટીમે રાતે પોણા એક વાગે બચાવ કામગીરી હાથ ધરી બંનેને પૂરના પાણીમાંથી બચાવી સલામત સ્થળે પહોંચાડ્યા હતા. લગભગ સાડા ત્રણ કલાક  બચાવ કામગીરી ચાલી હતી. 28 અને 30 વર્ષની ઉંમરના આ યુવાનો મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાની પેટલાવદ તહેસીલના એક ગામના નિવાસી હતા.

બગસરામાં સાતલડી નદી બે કાંઠે વહી રહી છે. પાણીનો ધસમસતો પ્રવાહ નદીમાં વહી રહ્યો છે. નદીમાં પાણીના પ્રવાહ ઝાંઝરીયા તરફ જતા રોડ પર ફરી વળ્યો. ઝાંઝરીયા તરફ જતો માર્ગ બંધ છે. નદીમાં પૂરને કારણે ઝાંઝરીયા તરફ જવા માટેના નદીપરાનું બસ સ્ટોપ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. બીજી તરફ સાવરકુંડલા-ચલાલા તરફ જતા માર્ગ પર પણ પાણીના કારણે વાહનચાલકોને હાલાકી પડી રહી છે. 

અમરેલી જીલ્લામાં નદીના પાણીમાં તણાતાં વ્યક્તિના રેસ્ક્યુના વધુ એક વીડિયો સામે આવ્યો છે. પાણિયા નજીક આવેલ નદી પરના પુલમાં એક વ્યક્તિ બાઇક સહિત તણાયો હતો. બાઇક સહિત તણાતાં બાઇક સવાર ધસમસતા પ્રવાહમાં વ્યક્તિ પુલ પર લટકી ગયો. પાણિયા ગામના લોકોને જાણ થતા વ્યક્તિનું રેસ્ક્યુ કરી બહાર કઢાયો. એક કલાક આસપાસ વ્યક્તિ ધસમસતા પ્રવાહમાં પુલ પર લટકી રહ્યો. સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કરીને વ્યક્તિનો જીવ બચાવ્યો. બાઇક ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયું.

લીલીયામાં ત્રણ યુવાનોના નદીના પાણીમાંથી રેસ્ક્યુનો લાઈવ વિડીયો સામે આવ્યો છે. લીલીયાના ઢાંગલા ગામ નજીકની નદીના પ્રવાહમાં 3 યુવાનો ફસાયા હતા. ત્રણ યુવાનો ખારી નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાયા હતા. મજુરી કામ સાથે સંકળાયેલા ત્રણ યુવાનો સાકળ બનાવી નદી પાર કરતા સમયે પાણીમાં ફસાયા હતા. પાણીનો ધસમસતો પ્રવાહ હોવાથી ત્રણ યુવાનો નદીમાં ખાબક્યા. જો કે સ્થાનિકોએ એકઠા થઈ રેસ્ક્યુ કરી ત્રણેય યુવાનોને પાણીમાંથી બહાર કાઢતા જીવ બચ્યા.



ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બારેમેઘ ખાંગા થયા છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો હતો. એ પછી અમરેલીના લીયામાં 6 ઇંચ, દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા અને કલ્યાણપુરમાં 5.5 ઇંચ, જૂનાગઢના માંગરોળ, અમરેલીના જાફરાબાદ અને ભરુચમાં સવા 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 209 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાં 121 તાલુકામાં એક ઇંચથી લઈને 12 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો.


 


આ સિવાય ગીર સોમનાથના વેરાવળ, અમરેલીના બગસરા, ભાવનગરના જેસર, જામનગર, અમરેલી, લાલપુર, કાલાવડ, કેશોદ, રાજુલા, કુતિયાણા, વાગરા, તાલાલા, માળિયા, ગારિયાધારમાં ચારથી પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે ખંભાત, ભેસાણ, ભાવનગર, દ્વારકરા, મુન્દ્ર, તલાજા, લોધિકા, મેંદરડા, અંજાર, અંકલેશ્વર, હાંસોટ પાલિતાણા અને ગારિયાધારમાં 3થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.