Gujarat Rain Update: રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદને પગલે અનેક ગામોમાં પાણી ભરાયા છે. જેને લઈને જન જીવન પ્રભાવિત થયું છે. હજુ પણ ઘણા લોકો એવા છે જે ભયના ઓથાર નીચે જીવન પસાર કરી રહ્યા છે. આ ગામમાં હજી સુધી તંત્ર દ્વારા કોઈ મદદ પહોંચાડવામાં આવી નથી. આવું જ એક ગામ છે  કોડીનારનું  અરણેજ, આ ગામની સ્થિતિ અતિ ભયજનક છે. જ્યાં અનેક ઘરોમાં પાણી ઘૂસ્યા છે. ગામમાં કમર સમાં તો કેટલાક ઘરોમાં ગોઠણ ડૂબ પાણી ભરાયા છે. 


હાલત એટલી ખરાબ છે કે, અનેક લોકોના ઘરે તો રસોઈ માટે ચૂલા પણ સળગ્યા નથી. ઘરમાં પાણી ભરેલા હોવાથી દિવસ અને રાત ખાટલા પર બેસીને જ પસાર કરવી પડે છે. જો કે આટલી બધી પરિસ્થિતિ ખરાબ હોવા છતા તંત્ર અજાણ છે અને હજી સુધી કોઈ મદદ માટે ફરક્યું પણ નથી. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીંના લોકોના જણાવ્યા પ્રમાણે છેલ્લા ત્રણ દિવસથી આજ પરિસ્થિતિ છે. જીવના જોખમે લોકો દિવસ પસાર કરી રહ્યા છે.


 



રાજ્યમાં 207 જળાશયોમાં 50.91% પાણીનો સંગ્રહ


રાજ્યમા ભારે વરસાદના કારણે જળાશયોમાં પાણીની આવક થઈ છે. રાજ્યમા જળસંગ્રહ 50%ને પાર પહોચ્યો છે. 207 જળાશયોમાં 50.91% પાણીનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત રાજ્યના 36 ડેમ હાઈ એલર્ટ પર મુકાયા છે. 36 પૈકી 25 ડેમ 100% ભરાયા છે. 17 જળાશયો એલર્ટ પર મુકાયા છે. 14 જળાશયો વોર્નિંગ પર મુકાયા છે.તો બીજી તરફ વરસાદની આગાહીને પગલે વેરાવળ બંદર પર ત્રણ બદરનું સિગ્નલ લગાવાયું છે. દરિયો તોફાની બનતા માછીમારોને દરિયામાં ન જવા સૂચના આપવામાં આવી છે. દરિયા કિનારે ભારે પવન ફૂંકવાની સંભાવના છે.



અમદાવાદમાં 30 દિવસમાં 50% વરસાદ થયો છે. અમદાવાદમાં 50 વર્ષમાં 7 વખત જુલાઇમાં 16 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, તો આ વર્ષે 14 દિવસમાં જ 16 ઇંચ પડ્યો છે. કચ્છમાં 98%, દક્ષિણમાં 65% અને ઉત્તર ગુજરાતમાં 27% વરસાદ નોંધાયો છે. જળાશયોમાં ગયા વર્ષના આ સમય કરતાં 28% વધુ પાણી ભરાયું છે. રાજ્યનાં 20 જળાશયો સંપૂર્ણ ભરેલા છે. સરદાર સરોવર યોજનામાં 48.53 ટકા પાણી ભરાયું છે.