અમદાવાદ ખાતે અસ્મિતા સન્માન પુરસ્કાર 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ વિશેષ કાર્યક્રમમાં એબીપી નેટવર્કના CRO મોના જૈન હાજર રહ્યા હતા. અસ્મિતા સન્માન પુરસ્કાર કાર્યક્રમ સતત 4 વર્ષથી યોજાઈ રહ્યો છે. આ વર્ષે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતના 9 રત્નોનું અસ્મિતા સન્માન પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વરિષ્ઠ પત્રકારો અને અનેક હસ્તિઓએ હાજરી આપી હતી. 


કળા, સંસ્કૃતિ ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન બદલ ચંદ્રકાંત સોમપુરાનું અસ્મિતા સન્માન પુરસ્કારથી સન્માન કરાયું હતું. સાહિત્ય ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદાન બદલ ભાગ્યેશ જહાનું સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ નરેન્દ્રભાઈ ચૌહાણ અને સામાજીક સેવા ક્ષેત્રે બચુભાઈ ગામીને સન્માનિત કરાયા હતા. 


ખેલ ક્ષેત્રે પોતાના ઉત્કૃષ્ઠ કૌશલ્ય બતાવી ટોક્યો પેરાઓલોમ્પિકમાં  સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલનું સન્માન કરાયું હતું. સંગીત ક્ષેત્રે બોલીવૂડ ફિલ્મોમાં પોતાના સંગીતથી ધૂમ મચાવનાર ઈસ્માઈલ દરબારનું અસ્મિતા સન્માન પુરસ્કારથી સન્માન કરાયું હતું.


મનોરંજન ક્ષેત્રે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બનાવનાર અસિત કુમાર મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉદ્યોગ ક્ષેત્રે પોતાના યોગદાન બદલ પિરુઝ ખંભાતાનું સન્માન કરવામાં આવ્યું હતું. સરદાર પટેલના સંસ્કારોને જીવંત રાખનાર નિરંજનાબેન કલાર્થીનું અસ્મિતા મહાસન્માનથી સન્માન કરાયું હતું.