અમદાવાદઃ રાજ્યમાં શિયાળો જામી ચુક્યો છે. કડકડતી ઠંડીમાં લોકો કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે પરંતુ ગુજરાતમાંથી મેઘરાજા જાણે કે વિદાય લેવાનું નામ જ નથી લઈ રહ્યા. ચોમાસા બાદ કમોસમી વરસાદન કહેરની કળમાંથી  ધરતી પુત્રો હજુ ઉભા નથી થઈ શક્યા ત્યાં વધુ એક માઠા સમાચાર આવ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યના વાતાવરણમાં ફરી પલટો આવશે. 7 જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. જેના કારણે વલસાડ અને ભાવનગરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ સહિત અનેક જગ્યાએ આ વખતે કાતિલ ઠંડી પડી રહી છે. નલીયામાં તાપમાનનો પારો ગગડીને ગઈકાલે 06.7 ડિગ્રી પર પહોંચી ગયો હતો. ન્યુ કંડલામાં 11.5 અને કંડલા એરપોર્ટ 11.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 12.9, ડીસામાં 10.9, વડોદરામાં 11.8, રાજકોટમાં 10.0, પોરબંદરમાં 12.4, ભુજમાં 10.4, અમરેલીમાં 12.0 તાપમાન નોંધાયું હતું. સમગ્ર ગુજરાતમાં લઘુત્તમ તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી સેલ્સિયસ નીચો જશે.

રાજકોટ અને કચ્છ જિલ્લાના કેટલાંક ભાગોમાં સુસવાટા ભર્યા ઠંડા પવન પણ ફૂંકાશે તેવું હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર ભારતમાં પડી રહેલી ઠંડી અને ઉત્તરપૂર્વ દિશા તરફથી આવતા પવનના કારણે સમગ્ર ગુજરાનાં તાપમાનમાં ઘટાડો જોવા મળશે.