થરાદઃ ગુજરાતનાં નવા વરસથી શરૂ થયેલો અકસ્માતોનો સિલસિલો ચાલુ રહ્યો છે. હવે બનાસકાંઠા જિલ્લામાં થરાદ-ધાનેરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતાં પાંચ લોકોના મોત નિપજ્યાં છે.


બનાસકાંઠા જિલ્લામાં થરાદ-ધાનેરા હાઈવે પર અલ્ટો કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 5 લોકોનાં મોત થયાંના પ્રાથમિક અહેવાલ છે. આ ઉપરાંત ત્રણ લોકોથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.


બનાસકાંઠા જિલ્લામાં થરાદ-ધાનેરા હાઈવે પર ધાનેરાના પાવડાસણ પાટીયા નજીક આ અકસ્માત હતો. અલ્ટો કાર અને ટ્રેકટર ટ્રોલી વચ્ચે અકસ્માત થયો તેમાં ખેડાથી એક  પરિવારના સભ્યો ભાખડીયાલ જઇ રહ્યા હતા ત્યારે અલ્ટો કાર ટ્રેક્ટરની ટ્રોલીની પાછળ ઘૂસી જતાં તેનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો અને પાંચ લોકો ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા.


મૃતકોમાં ગેમરાજી જુમાજી (ઉંમર  55 વર્ષ, ખેડા),  ટીપુંબેન ભમરજી (ઉંમર  7 વર્ષ, ખેડા),  શૈલેષભાઇ ભમરાજી (ઉંમર  2 વર્ષ, ખેડા),  રમેશભાઈ બળવંતજી (ઉંમર  35 વર્ષ, ખેડા) અને  અશોકભાઈ ઠાકોર (ઉંમર  35 વર્ષ, જડિયાળી)નો સમાવેશ થાય છે.


મૃતકોના મૃતદેહને પીએમ અર્થે અને 3 ઘાયલોને સારવાર માટે ધાનેરા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતને પગલે ધાનેરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં ખેડાથી એક  પરિવારના સભ્યો ભાખડીયાલ જઇ રહ્યા હતા ત્યારે અલ્ટો કાર ટ્રેક્ટરની ટ્રોલીની પાછળ ઘૂસી જતાં અકસ્માત થયો હોવાનું બહાર આવ્યું છે.


આ અકસ્માતે લોકોમાં અરેરાટી પેદી કરી છે કેમ કે છેલ્લા કેટલાક દિવસથી બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે.  થરાદ-ધાનેરા હાઈવે પર પાવડાસણ પાટીયા અને જોરપુરા પાટિયા વચ્ચે અલ્ટો કાર અને ટેક્ટર ટ્રોલી વચ્ચે અકસ્માત સર્જાતાં 5 લોકોનાં મોત નીપજ્યાં હતાં અકસ્માતની જાણ ધાનેરા પોલીસને થતાં 108 તેમજ ધાનેરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી રાહતની કામગીરી શરૂ કરી હતી.