Banaskantha:  કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ બનાસકાંઠાના લાખણીમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. પ્રિયંકા ગાંધી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોર માટે પ્રિયંકા ગાંધીએ ચૂંટણી સભા સંબોધિત કરી હતી. ચૂંટણી સભામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.






ભાજપે 10 વર્ષમાં શું કર્યુ તેનો જવાબ આપે


લોકોને સંબોધતા પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે અગ્નિવીર યોજનાથી યુવાનો સેનામાં જતા નથી. અમારી સરકાર આવશે તો અમે 30 લાખ સરકારી પદો પર ભરતી કરીશું. સ્નાતક યુવાનો માટે એપ્રેટિસ પ્રોજેક્ટ લાવીશું. નાના અને મધ્યમ ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન આપીશું. સરકારી કંપનીઓને પ્રાઈવેટ બનાવવાનો પ્રયાસ કરાયો છે. ખાનગીકરણથી અનામત મળતું નથી. ભાજપે 10 વર્ષમાં શું કર્યુ તેનો જવાબ આપે. ભાજપે લોકોની વચ્ચે નફરતના બીજ વાવ્યા છે.






વધુમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે ગુજરાતમાં ખાનગી યુનિવર્સિટીઓ ખુલી રહી છે. ખાનગી યુનિવર્સિટીઓની મોંઘીદાટ ફી ભરવી પડી રહી છે. સમગ્ર દેશમાં આજે પેપર લીક થાય છે. ભરતીની પરીક્ષા બાદ વર્ષો સુધી રોજગારીની રાહ જોવી પડી રહી છે. ભાજપની સરકારમાં 10 વર્ષમાં 14 વખત પેપર લીક થયા છે. કેન્દ્ર સરકારમાં 30 લાખ નોકરીઓ ખાલી છે. આઉટ સોર્સિંગ,કોન્ટ્રાક્ટ પર રોજગાર આપવામાં આવી રહ્યો છે.


ભાજપ પ્રહાર કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મારા ભાઇને એ શહેઝાદા કહે છે પણ શહેઝાદા ચાર હજાર કિ.મી પગપાળા ચાલ્યા છે. ખેડૂતો,શ્રમિકો, બહેનાના હાલચાલ પૂછ્યા છે. મોંઘવારીથી જનતા પરેશાન છે. ખેતીના દરેક સામાન પર GST લાગે છે. જે અવાજ ઉઠાવે છે તે અવાજ દબાવી દેવામાં આવે છે.


પ્રિયંકા ગાંધીએ ક્ષત્રિય આંદોલનનો મુદ્દો ઉઠાવ્યો હતો. ક્ષત્રિય મહિલાઓ પર અત્યાચાર થયો છે. જ્યાં પણ મહિલાઓ પર અત્યાચાર થયો ત્યાં ભાજપની સરકાર છે. દેશ માટે મેડલ લાવનાર મહિલા ખેલાડી રસ્તા પર ઉતરી હતી. ભાજપની સરકારે કોઈની મદદ કરી ન હતી. ભાવનગરમાં ગૌચરની જમીન પર ભાજપના નેતાઓ કબજો કર્યો હતો. ખેડૂતો માટે MSPને લઈને કાયદો બનશે. ખેડૂતોના દેવા માફી માટે આયોગ બનશે.


ખેતીના તમામ સામાનોથી GST હટાવીશું. પાક નુકસાનીના 30 દિવસમાં વળતર મળશે. શ્રમિકોને રોજના 400 રૂપિયા મળશે. પરિવારની મોટી મહિલાને 8500ની સહાય આપીશું. સરકારી નોકરીમાં મહિલા માટે 50 ટકા અનામત આપીશું. પ્રિયંકાએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં ભાજપે જનતાના અધિકાર ઓછા કર્યા છે.


દેશમાં જ્યાં પણ મહિલાઓનું અપમાન થયું, જ્યાં પણ અત્યાચાર થયો, મોદી સરકાર અત્યાચારીઓની સાથે ઉભી રહી. હાથરસ કાંડ હોય કે ઉન્નાવ કાંડ હોય, ખેલાડી બહેનો પરના અત્યાચારની ઘટના હોયનો મામલો હોય, ગુજરાતમાં રાજપૂત બહેનોનું અપમાન હોય કે કર્ણાટકમાં સેંકડો મહિલાઓનું શોષણ હોય, મોદીએ દરેક જગ્યાએ અત્યાચારીઓને બચાવ્યા છે. જે નેતાઓએ મહિલાઓનુ અપમાન કર્યું, તેમના પર અત્યાચાર કર્યા, ભાજપે તેમને  ટિકિટ આપીને સન્માનિત કર્યા છે. ભાજપનું અસલી મહિલા વિરોધી ચરિત્ર આજે દેશની સામે છે.