Lok Sabha Election: ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે, ગુજરાતમાં તમામ 26 બેઠકો પર 7 મી મેએ એક દિવસે એક જ તબક્કામાં મતદાન યોજાશે, આ ચૂંટણીમાં હવે કોંગ્રેસ પુરજોશમાં પ્રચાર કરી રહ્યું છે. આજે કોગ્રેસ માટે બનાસકાંઠામાં પ્રિયંકા ગાંધી પ્રચંડ પ્રચાર કરશે, આજે બનાસકાંઠાના લાખાણી ગામમાં આ જનસભાનું આયોજન કરવામાં આવ્યુ છે. 

ગુજરાતમાં અત્યારે લોકસભાનો ચૂંટણી જંગ જામ્યો છે. ગુજરાતમાં ત્રણ ચાર બેઠકો પર કોંગ્રેસ પુરજોશમાં પ્રચાર કરી રહ્યું છે, આમાં સૌથી વધુ ચર્ચિત બેઠક બનાસકાંઠા બેઠક છે. અહીં ગેનીબેન ઠાકોરને કોંગ્રેસે ટિકીટ આપી છે, આજે કોંગ્રેસનું સીનિયર નેતૃત્વ જિલ્લામાં પ્રચાર અર્થે આવશે. આજે બનાસકાંઠામાં પ્રિયંકા ગાંધીનો પ્રચંડ પ્રચાર શરૂ થઇ રહ્યો છે, જિલ્લાના લાખણી ગામમાં સવારે 11 વાગ્યે પ્રિયંકા ગાંધી એક જંગી જનસભાને સંબોધશે. આ પ્રિયંકા ગાંધીનો આ પ્રચાર બનાસકાંઠા અને પાટણ બે લોકસભા બેઠક માટેનો છે, પ્રિયંકા ગાંધી ગેનીબેન ઠાકોર અને ચંદનજી ઠાકોર માટે પ્રચંડ પ્રચાર કરશે. ખાસ વાત છે કે જનસભા પહેલા હેલિપેડથી સભા સ્થળ સુધી પ્રિયંકા ગાંધીનો એક મેગા રૉડ શૉ યોજાશે.

બનાસકાંઠા લોકસભા બેઠક પરની રાજકીય સ્થિતિ 
- વાવ બેઠક કોંગ્રેસ હસ્તક 
- થરાદ બેઠક ભાજપ હસ્તક 
- ધાનેરા બેઠક ભાજપ સમર્થિત અપક્ષ હસ્તક 
- દાંતા બેઠક કોંગ્રેસ હસ્તક 
- પાલનપુર બેઠક ભાજપ હસ્તક 
- ડીસા બેઠક ભાજપ હસ્તક 
- દિયોદર બેઠક ભાજપ હસ્તક 

પાટણ લોકસભા બેઠક પરની રાજકીય સ્થિતિ 
- વડગામ બેઠક કોંગ્રેસ હસ્તક
- કાંકરેજ બેઠક કોંગ્રેસ હસ્તક
- રાધનપુર બેઠક ભાજપ હસ્તક
- ચાણસ્મા બેઠક કોંગ્રેસ હસ્તક
- પાટણ બેઠક કોંગ્રેસ હસ્તક
- સિદ્ધપુર બેઠક ભાજપ હસ્તક
- ખેરાલુ બેઠક ભાજપ હસ્તક

કોણ છે ‘મહિલા દબંગ નેતા’ ગેનીબેન ઠાકોર? (Female Dabangg Leader Ganiben Thakor?)

ગેની ઠાકોર જેમનું પૂરું નામ ગેનીબેન નાગાજી ઠાકોર છે, તેઓ એક કોંગ્રેસ પક્ષના મહિલા રાજકારણી છે જે ગુજરાત વિધાનસભાની વાવ બેઠકના ધારાસભ્ય છે. ગેનીબેને ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને ભારતીય જનતા પાર્ટીના શંકર ચૌધરી સામે વિજય મેળવ્યો હતો. ગેનીબેને વાવ મત વિસ્તારમાંથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને 6655 મતની સરસાઈ સાથે જીત મેળવી હતી. ગેની બેનને અખબારી સ્રોતો દ્વારા અલ્પેશ ઠાકોરના નજીકના માનવામાં આવે છે.

બનાસકાંઠા બેઠક પર સૌથી વધુ ઠાકોર સમાજના મતદારો

બનાસકાંઠા બેઠક પર બંને મહિલા ઉમેદવાર મોટી સંખ્યામાં મતદાર ધરાવતા સમાજમાંથી આવે છે. બનાસકાંઠા બેઠક પર કુલ 19.53 લાખ મતદારોમાં સૌથી વધુ 3.43 લાખ ઠાકોર મતદાર અને 2.70 લાખ ચૌધરી સમાજના મતદારો આવેલા છે. ત્યારે આ બંને સમાજના મતદારો પરિણામ માટે નિર્ણાયક ભૂમિકા ભજવશે. બનાસકાંઠા જિલ્લામાં કુલ નવ વિધાનસભા બેઠક પૈકીની વડગામ અને કાંકરેજ બેઠક પાટણ લોકસભા મતદાર વિસ્તારમાં આવે છે. તેને બાદ કરતા દાંતા, પાલનપુર, ડીસા, ધાનેરા, વાવ, થરાદ અને દિયોદર મળી સાત વિધાનસભા બેઠકો આવેલી છે. બનાસકાંઠા બેઠક ઉપર કુલ 19,53,287 મતદારો નોંધાયેલા છે. જેમાં રાજકીય તજજ્ઞો દ્વારા જ્ઞાતિ આધારિત મતદારોની યાદીઓ તૈયાર કરવામાં આવી છે. જેમાં સોથી વધુ ઠાકોર સમાજના 3,43,122 મતદારો તેમજ ચૌધરી સમાજના 2,70,950 મતદારો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેમાં વાવ બેઠક ઉપર સોથી વધુ ઠાકોર સમાજના 82,852 મતદારો, જ્યારે થરાદ બેઠક ઉપર સોથી વધુ ચૌધરી સમાજના 72,567 મતદારો હોવાનો અંદાજ છે.

બનાસકાંઠા બેઠક ઉપર ઠાકોર અને ઔધરી સમાજની સાથે અનનસૂચિત જાતિ,રબારી, અનુસૂચિત જનજાતિ, બ્રાહ્મણ અને મુસ્લિમ મતદારો પણ પ્રભુત્ત્વ ધરાવે છે. જેમાં પાલનપુર, ડીસા અને દિયોદર બેઠક ઉપર પાટીદાર સમાજનો દબદબો છે. બનાસકાંઠા બેઠક કબજે કરવા ભાજપ તેમજ ક્રોંગ્રેસ દ્વારા મોટા સમાજના મતો અંકે કરવા રાજકીય સોગઠા ગોઠવી રહ્યા છે, ત્યારે ચૂંટણીમાં મતદારોમાં ક્યા પક્ષ કે ઉમેદવારની પસંદગી કરે છે તેને લઈ લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.

જ્ઞાતિ પ્રમાણે મતદારો

ઠાકોર 3,43,122
ચોધરી 2,70,950
અનુ.જાતિ 1,60,321
રબારી 1,58,005
રાજપૂત 66,497
બ્રાહ્મણ 95,610
પ્રજાપતિ 68,563
અનુ.જનજાતિ 171,632
દરબાર 71,450
મુસ્લિમ 96,242
પાટીદાર 39,345
માળી 47,635