નર્મદા: સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર રાત્રે 7 થી 8 વાગ્યે લેસર શોનું આયોજન કરવામાં આવે છે. આ શો દરમિયાન વાહનોના વાગતા હોર્નને લીધે પ્રવાસીઓને વિક્ષેપ પડતો હોવાનું તંત્રના ધ્યાને આવ્યું છે. જેના કારણે નર્મદા જિલ્લા કલેકટર દ્વારા કેવડિયાના શ્રેષ્ઠ ભારત ભવનથી જંગલ સફારી વિસ્તારને સાયલેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં રાત્રે 7થી8 વાગ્યાના એક કલાક દરમિયાન લેસર શો ચાલશે. તે દરમિયાન કોઈપણ વાહનચાલક જો હોર્ન વગાડશે તો તેની સામે પોલીસ ફરિયાદ થઈ શકે છે.


જિલ્લા કલેકટર મનોજ કોઠારીએ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 33(1)(બી) મુજબ જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિ સામે psi કે તેથી ઉપરના અધિકારી ફરિયાદ માંડવા અધિકૃત કરાયા છે. નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું 31મી ઓક્ટોબર 2018ના રોજ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ લોકાર્પણ કર્યું હતું.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર હવે વિશ્વ કક્ષાની પ્રતિમા હોવાથી ત્યાં દેશ વિદેશના પ્રવાસીઓ આવી રહ્યા છે. પ્રતિમા અને તેની આસપાસના વિસ્તારની સુંદરતા જળવાઈ રહે તે માટે તંત્રએ પહેલેથી જ લારી-ગલ્લાઓ હટાવી દીધા હતા.