Crime News: અંકલેશ્વરમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. સારંગપુરના યોગેશ્વર નગરમાં યુવક અને યુવતીની હત્યા કરવામાં આવી હતી. પ્રેમ પ્રકરણમાં પ્રેમીએ પ્રેમિકા અને યુવાનની હત્યા કરી હતી. તિક્ષણ હથિયારના ઘા મારી હત્યા કરી હતી. પ્રેમિકાને અન્ય યુવાન સાથે જોઈ જતા હત્યા કરવામાં આવી હતી. જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી છે.


પરિણીતાને બે પ્રેમીઓ સાથે સંબંધ રાખવો ભારે પડ્યો હતો. પ્રેમિકા અને તેના પ્રેમીને અન્ય પ્રેમીએ મોતને ઘાટ ઉતારી પોતે પોલીસ સમક્ષ હાજર થઈ હત્યા કર્યાંની કબૂલાત કરી હતી. અંકલેશ્વરના સારંગપુરમાં  ખૂની ખેલ ખેલાયો છે. એક પરિણીત યુવતીને 2 પ્રેમીઓ સાથે સંબંધ રાખવો ભારે પડ્યો છે. મીડિયા અહેવાલ અનુસાર, ઝઘડિયાના રાણીપુરાના રહેવાસી હિતેશ વસાવા અને રાણીપુરાના રોહન વસાવાના અંકલેશ્વરમાં રહેતી એક પરિણીતા સાથે પ્રેમસંબંધ હતો. પ્રાપ્ત અહેવાલ મુજબ, પરિણીત યુવતી બે સંતાનની માતા હતી. પરિણીત યુવતીએ બે યુવકો સાથે પ્રેમસંબંધ બાંધ્યો હતો. ત્યારે આ મામલે જ્યારે રોહન વસાવાને જાણ થઈ તો તે ખૂબ જ ગુસ્સે ભરાયો હતો.


અહેવાલ અનુસાર, અંકલેશ્વરના સારંગપુર ગામના યોગેશ્વરનગરમાં પરિણીતા તેના પ્રેમી હિતેશ વસાવા સાથે હોવાની માહિતી મળતા રોહન ત્યાં પહોંચ્યો હતો. વહેલી સવારે જ રોહને ઘરનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ દરવાજો ખુલ્યો નહોતો. લાંબા સમય સુધી રાહ જોયા બાદ રોહન એકાએક ઘરમાં ઘૂસ્યો હતો અને પ્રેમિકાને અન્ય યુવક સાથે જોઈ ખૂબ જ ગુસ્સે ભરાયો હતો. રોહને પ્રેમિકા અને તેના પ્રેમી હિતેશની હત્યા કરી હતી અને પોતે પોતાના ગામ તરફ ફરાર થયો હતો. જો કે, અફસોસ થતા રોહન પોલીસ મથકે હાજર થયો હતો અને હત્યાની કબૂલાત કરી હતી.