ભાવનગરઃ ભાવનગરમાં નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્રે પત્નિ અને બે દીકરીઓ સાથે સામૂહિક આત્મહત્યા કરી એ ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. ભાવનગરના પ્રતિષ્ઠિત પરિવારના ચાર લોકોએ એક સાથે આપઘાત કરી લીધો છે એ ઘટનાએ સૌને હચમચાવી દીધા છે ત્યારે આ ઘટનામાં આપઘાત કરનાર ઘરના મોભી પૃથ્વીરાજ સિંહે પરિવારનાસભ્યોને ગોળી મારતાં પહેલાં પોતાના પાળેલા શ્વાન ટોમીને ગોળી મારી હતી. બાદમાં પોતાની પત્ની અને બે દીકરી સાથે મળી ગોળી માર્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ડીવાયએસપી સફિન હસને જણાવ્યું હતું કે, પૃથ્વીરાજસિંહનો પાલતું શ્વાન પણ ગોળી મારેલી હાલતમાં મળી આવ્યો છે. પૃથ્વીરાજસિંહ પોતાના પરિવાર તથા પાલતું શ્વાનને ગોળી માર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી હોય તેવી શક્યતા છે.


પૃથ્વીરાજસિંહના પિતા નરેન્દ્રસિંહ જાડેજા ગામડે ગયા હતા. ત્યારે તેમના ઘરે આ ઘટના બની હતી. તેમની મોટી પુત્રી પણ શુટિંગમાં ચેમ્પિયન હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રિવોલ્વરનું લાયસન્સ પૃથ્વીરાજસિંહના નામે હતું.

પૃથ્વીરાજસિંહે સામૂહિક આપઘાત પહેલાં મિત્રોને મેસેજ પણ કર્યા હતા. પૃથ્વીરાજ સિંહે મિત્રોને મેસેજમાં કહ્યું હતું કે, ‘હું આપઘાત કરુ છું, ઘરનો દરવાજો ખુલ્લો છે, આવી ને જોઈ જશો.

પૃથ્વીરાજ સિંહે આવો મેસેજ પોતાના મિત્રોને સાંજે 5.34 મિનિટે કર્યો હતો. આ મેસેજના પગલે કેટલાક મિત્ર દોડી આવ્યા હતા પણ ત્યાં સુધીમાં કમનસીબ ઘટના બની ચૂકી હતી. આ આત્મહત્યા કરવા પાછળનું કારણ અત્યાર સુધી બહાર આવ્યુ નથી.

ભાવનગરના વિજય રાજનગર વિસ્તારમાં રહેતા રિટાયર્ડ Dysp નરેન્દ્રસિંહ જાડેજાના પુત્ર પૃથ્વીરાજસિંહ જાડેજાએ પત્ની બિનાબા અને બે દીકરીઓ નંદિનીબા (ઉં.વ.18) અને યશસ્વીબા (ઉં.વ.11) સાથે સામૂહિક આપઘાત કર્યો હતો. . ‘પૃથ્વી રાજ બંગ્લો’માં રહેતા પૃથ્વીરાજે બે દીકરીઓને રિવોલ્વરથી ગોળી માર્યા બાદ પોતાની પત્નીને પણ ગોળી મારી હતી. બાદમાં તેણે પણ આત્મહત્યા કરી લીધી હતી.