ભાવનગરઃ જિલ્લાના કોળીયાક ગામે શિક્ષિકાએ આત્મહત્યા કરી લીધી હતી. આ આત્મહત્યા કેસમાં સૂસાઇડ નોટ સામે આવી છે, જેમાં શિક્ષિકાએ કેમ આપઘાત કર્યો તેનો ખુલાસો થયો છે. શિક્ષિકા ભાવનાબેન (ઉ.વ.36)એ પોતાના ઘર પાસે આવેલા જળુંબ કૂવામાં પડીને આત્મહત્યા કરી લીધી હતી. આપઘાત પહેલા ભાવનાબેને ઘરે એક બુકમાં સુસાઈડ નોટ પણ લખી હતી.


આ સૂસાઇડ નોટમાં ભાવનાબેન લખ્યું હતું કે, હું ગામ કૂવામાં પડીને મારો જીવ આપું છું, મારો માધવ અને મારા મમ્મી પપ્પા મારા બંને ભાઈયો હું સાવ જ કંટાળી ગઈ છું. મને જરા પણ શાંતિ નથી. મારું મન કઈ સારું વિચારતુ જ નથી. હું કંઈ સહન કરી શકતી નથી. મારે નોકરી પર કામ કરવામાં પણ ઘણી તકલીફ પડે છે. મારાથી થતું નથી. હું સહન કરી શકતી નથી. મારાથી ક્યારેય ભૂલ થઇ હોય તો માફ કરશો….તમારી ભાવુ.

જોકે, આ ઘટનામાં શિક્ષિકાના પરિવારે આક્ષેપ કર્યો છે કે, ભાવનાબેન શિક્ષક તરીકે ભાવનગર જિલ્લાના લાખણકા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. જ્યાં આચાર્યના ત્રાસના કારણે તેમણે આવું પગલું ભર્યું છે. આચાર્ય સ્કૂલના કામ માટે ખુબ જ પ્રેશર કરતા હોય જેથી પરેશાન રહેવાના કારણે ભાવનાબેને આવું પગલું ભર્યું છે. આ અંગે તેમણે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પણ લેખિતમાં જાણ કરેલ હતી. તેમજ ભાવનગર શિક્ષણ વિભાગને પણ જણાવ્યું હતું. તેમ છતાં કોઈ નક્કર પગલા લેવામાં ન આવતા શિક્ષિકાએ આત્મહત્યા કરી હોવાનું તેમના પરિવારે જણાવ્યું હતું.

મૃતક ભાવનાબેન 14 વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવે હતા અને છેલ્લા એક વર્ષથી લાખણકા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા. ભાવનાબેનના 18 વર્ષ પહેલા લગ્ન થયા હતા અને એક પુત્ર પણ છે. ભાવનાબેન ઘણા વર્ષોથી તેમના પિયરમાં જ રહેતા હતા અને શિક્ષિકા તરીકે લાખણકા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા. તેમણે ગત 7મી સપ્ટેમમ્બરના રોજ સુસાઈટ નોટ લખી તેમના ઘર નજીક આવેલ કુવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી.