ગાંધીનગરઃ કોરોનાના સંક્રમણની સ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. ખાસ કિસ્સામાં વેપાર ધંધા પાટા પર લાવવા અને કર્મચારીઓના ફાયદા માટે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે રજા અને વેતન પે અવર્સ યોજના અવેજીમાં ખાસ રોકડ પેકેજ જાહેર કર્યું છે. LTCના વર્ષ 2016થી 2019ની મુદ્દતમાં ત્રણ મહિનાનો વધારો કર્યો છે.


રાજ્યના નાણા વિભાગે આ વિશે બહાર પાડેલા ઠરાવમાં જણાવ્યું છે કે, ખાસ રોકડ પેકેજ યોજનાનો લાભ એમને જ મળશે, જેમણે બ્લોક ૨૦૧૬-૧૯નો લાભ હજી લીધો નથી, આ યોજના ૨૦૨૦-૨૩ના બ્લોક માટે લાગુ નહીં પડે, આ યોજનામાં રજા પ્રવાસ રાહત પેશગી નહીં મળે, આ યોજનાનો લાભ લેવા ઇચ્છુકોએ રજા પ્રવાસ રાહત-વતન પ્રવાસ રાહત અંતર્ગત નિયમોનુસાર મળવાપાત્ર થતી પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતરની રકમ જેટલો કે તેથી વધુ ખર્ચ કરવામાં આવે તો જ, તે રજાનું રોકડમાં રૂપાંતરની મળવાપાત્ર થતી રકમ ગણતરીમાં લેવાશે.

આ યોજનામાં છઠ્ઠા પગાર પંચ મુજબ રૂ. ૭,૬૦૦ ગ્રેડ પે કે તેથી વધુ ગ્રેડ પે મુજબ પગાર ધરાવનારને મુસાફરી અંગે રૂ. ૨૦ હજારનું સૂચિત ભાડું અને છઠ્ઠા પગાર પંચ મુજબ રૂ. ૭,૬૦૦ ગ્રેડ પે કરતાં ઓછો ગ્રેડ પે ધરાવનારને મુસાફરી અંગે રૂ. ૬ હજારનું ભાડું કરતાં કર્મચારી દ્વારા ત્રણ ગણો ખર્ચ કરવામાં આવે તો જ સૂચિત ભાડાની રકમ મળવાપાત્ર બનશે. સાથોસાથ, કર્મચારીએ ફરજિયાતપણે રજાનું રોકડમાં રૂપાંતર અને એલટીસી ભાડું બંનેનો લાભ લે તો જ એને આ પેકેજનો લાભ મળશે.