અમદાવાદઃ મહા વાવાઝોડાનું સંકટ હવે ગુજરાત પરથી ટળ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાવાઝોડુ સૌરાષ્ટ્રના દરિયા કિનારે ટકરાશે નહી. વાવાઝોડું સિવિયર સાયકલોન બન્યું  છે.  જે પોરબંદરથી 450, વેરાવળથી 490 અને  દીવથી 540 કિલોમીટર દૂર છે.


પહેલા આગાહી કરવામાં આવી હતી કે 'મહા' વાવાઝોડું દીવથી પોરબંદર વચ્ચેનાં દરિયાકાંઠે ટકરાવવાનું હતું. આવતીકાલે એટલે સાતમી તારીખે આ વાવાઝોડું દીવથી 40 કિ.મી. દૂર દક્ષિણમાં જ આવશે. જે બાદ સાંજે જ આ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં પરિવર્તીત થશે. જેના કારણે સૌરાષ્ટ્રનાં તટીય વિસ્તારમાં આવતી કાલે ભારેથી અતિભારે વરસાદ નહીં થાય પરંતુ મધ્યમ વરસાદ વરસશે.


7મીએ સવારે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે થઈને નીકળી જશે. હાલ વાવાઝોડું 21 કિમી પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. જે વેરાવળથી 490 કિમી, દીવથી 540 અને પોરબંદરથી 400 કિમી દૂર છે. ગુજરાતના દરિયાકાંઠે પહોંચતા વાવાઝોડું નબળું પડતુ જશે. છતા 70થી 80 કિમીની ઝડપે ભારે પવન ફૂંકાશે. વાવાઝોડાની અસરથી આજે જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ અમરેલી, ભાવનગરમાં આજે ભારે વરસાદ રહેશે. જ્યારે આવતીકાલે સુરત, ભરૂચ, આણંદ, બોટાદ, પોરબંદર અને રાજકોટમાં વરસાદની સંભાવના છે.

વાવાઝોડાના પગલે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, ભરૂચ, આણંદ, અમદાવાદ, બોટાદ, રાજકોટમાં ભારે વરસાદ થશે જ્યારે આવતી કાલે ભાવનગર, સુરત, ભરૂચ, આણંદ, અમદાવાદ, બોટાદ અને વડોદરામાં ભારે વરસાદ થશે.