અમદાવાદ: વાવાઝોડું 'મહા' ગુજરાત તરફ ફંટાઈ ગયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ 7મી નવેમ્બરે વાવાઝોડું સવારે સૌરાષ્ટ્રના દરિયા કાંઠે ટકરાશે. વાવાઝોડું ધીરે ધીરે નબળું પડી રહ્યું છે.


હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે મંગળવારે જણાવ્યું કે, 'વાવાઝોડું પોરબંદરથી 660 કિલોમીટર દૂર છે. વેરાવળથી 720 કિલોમીટર અને દીવથી 770 કિલોમીટર દૂર છે. જેમ જેમ વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે નજીક આવશે ત્યારે નબળું પડશે. અમારા અનુમાન મુજબ દીવ-પોરબંદર વચ્ચે 70-80 કિલોમીટરની ઝડપે ટકરાશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, મહા વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે પહોંચશે ત્યારે 80-90 કે 70-80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. આ વાવાઝોડું દીવથી પોરબંદરની વચ્ચે લેન્ડ ફોલ થશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

મહા વાવાઝોડાની અસરને પગલ સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. ત્યારે મહા વાવાઝોડાની સ્થિતિ પહોંચી વળવા લાંબા ગાળાની નીતિ તૈયાર કરવાની પીએમ મોદીએ સૂચના આપી છે. તેમણે સમીક્ષા બેઠક યોજી હતી. દરમિયાનમાં એનડીઆરએફની વધુ છ ટુકડી પણ ગુજરાત તરફ રવાના થઈ છે. રાજ્યમાં એનડીઆરએફની કુલ 30 ટીમો આવી પહોંચશે. સ્થાનિક ટીવી ચેનલ સાથે વાત કરતા એનડીઆરએફના ડેપ્યુટી કમાન્ડન્ટ રણવિજય સિંહે જણાવ્યું કે, 8 ટીમોએ પોઝિશન લઈ લીધી છે. તેમણે જણાવ્યું કે, 5 ટીમો દીવમાં તૈનાત કરાશે, જ્યારે અન્ય 15 ટીમો સૌરાષ્ટ્રમાં અલગ-અલગ જગ્યાઓ પર કામગીરી સંભાળશે. આ સિવાય અન્ય ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવશે.

વાવાઝોડાની અસરના પગલે 6 નવેમ્બરે ગુજરાતના જૂનાગઢ, ગીર સોમનાથ સંઘ પ્રદેશ દીવ, અમરેલી, બપોટા, અમદાવાદ, રાજકોટ, ભરૂચ, આણંદ અને સુરતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે. 7મી નવેમ્બરે ભાવનગર, સુરત ભરૂચ, આણંદ, બરોડા જિલ્લાના અનેક સ્થળોએ ભારે વરસાદ વરસી શકશે. હવામાન વિભાગના અનુમાન મુજબ 8મી નવેમ્બરે વાવાઝોડું એકદમ નબળું પડી જશે. હવામાન વિભાગના આંકલન મુજબ આ વાવાઝોડું વધારે નબળું પણ પડી શકે છે.