Biparjoy cyclone: બિપરજોય વાવાઝોડાની અસર ગીર સોમનાથના દરિયોમાં જોવા મળી રહી છે. દરિયાના મહાકાય મોજા મૂળ દ્વારકા ગામના મકાનો સાથે અથડાઈ રહ્યા છે. દરિયામાં 15 ફૂટથી ઉંચા મોજા ઉછળી રહ્યા છે. જે સીધા જ મકાનની દીવાલો સાથે અથડાઈ રહ્યા છે. ગામથી દરિયો 50થી 80 મીટર દૂર હોવા છતાં ગામની દીવાલો સાથે મોજા અથડાઈ રહ્યા છે. જેમ જેમ અરબી સમુદ્રમાંથી વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે પહોંચી રહ્યું છે તેમ તેમ મૂળ દ્વારકા ગામની દીવાલો સાથે દરિયો અથડાઈ રહ્યો છે.


 



કોડીનારનું મુળ દ્વારકા બંદર ભયાવહ સ્થિતિમાં છે. લોકોના કિનારા પરના ઘરો અને દુકાનો સાથે મોજા અથડાઈ રહ્યા છે. દરિયો 20 ફૂટથી વધુ આગળ આવી ઘરો સુધી દસ્તક આપી રહ્યો છે. વાવાજોડાના પગલે ગીર સોમનાથ એસપી અને પોલીસની ટીમો દરિયા કાંઠા પર જોવા મળી છે. સુત્રાપાડા નજીક હીરાકોટ બંદરે એસપી મનોહરસિંહ જાડેજા પહોંચ્યા હતા. આ ઉપરાંત મનોહરસિંહ જાડેજાએ જાલેશ્વર બંદરની પણ મુલાકાત લીધી હતી. જાલેશ્વર બંદર વેરાવળ નજીક આવેલું છે. બિપરજોય વાવાઝોડાની અસરના પગલે જાલેશ્વર બંદર પહોંચ્યા હતા એસપી. બંદર આસપાસ રહેતા લોકો સાથે મુલાકાત કરી દરિયામાં ન જવા સુચના આપી હતી. એસપીએ સ્થાનિક ફિશરમેન નેતાઓ અને માછીમારો સાથે ચર્ચાઓ કરી છે. ગીર સોમનાથના માથા સૂર્યા ગામે ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે.


પોરબંદરના દરિયાકાંઠે 25થી 30 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા


બિપરજોય વાવાજોડાની અસર ગુજરાતના દરિયા કિનારે વર્તાવા લાગી છે. પોરબંદર વોક-વેમાં પાણી ઘૂસી ગયા છે. ચમને જણાવી દઈએ કે, તાઉતે વાવાઝોડા બાદ પ્રથમ વખત આવું જોવા મળ્યું છે. બિપરજોય વાવાઝોડાની આજે સૌથી વધુ અસર જોવા મળી રહી છે. પોરબંદરના દરિયા કિનારા પર 25થી 30 ફૂટ ઊંચા મોજા જોવા મળ્યા છે. પોરબંદર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં બિપોરજોય વાવાઝોડાની અસરના પગલે પોરબંદરની વહીવટીતંત્ર પણ એલર્ટ થયું છે. દરિયાકાંઠાના ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.


 



બીપોરજોય નામનું વાવાઝોડું ધીમે- ધીમે આગળ વધી રહ્યું છે. તેમ પોરબંદરના દરિયામાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.સાવચેતીના ભાગ રૂપે દરિયાકાંઠા ગામડાને સાવચેત કરાયા છે તો નિચાણવાળા વિસ્તારોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે. ટુકડા ગોસા ગામે સાયકોલોન સેન્ટરમાં અસરગ્રસ્ત લોકોને રહેવા,જમવા સહિતની તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ગ્રામજનોને જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓનો પૂરતો જથ્થો રાખવા માટે અપીલ કરાઈ છે.