Biporjoy: બિપરજૉય વાવાઝોડાએ રાજ્યમાં જરબરદસ્ત રીતે તબાહી મચાવી છે, ગઇકાલે લેન્ડફૉલ થયા બાદ હવે આજે તેની અસર શરૂ થઇ ગઇ છે, રાજ્યમાં ઠેર ઠેર ભારે પવનો ફૂંકાઇ રહ્યાં છે, અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડાની સૌથી વધુ અસર દ્વારકા, કચ્છ સહિતના વિસ્તારોમાં થયો છે, પરંતુ આની અસર બનાસકાંઠામાં મોટા પાયે જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે બનાસકાંઠામાંથી એક મોત થયાની ખબર સામે આવી છે. 


માહિતી પ્રમાણે, બનાસકાંઠામાં દિવાલ ધરાશાયી થતાં એક મહિલાનું મોત નીપજ્યુ છે, જિલ્લાના વડગામ તાલુકાના છાપી ગામમાં ઘરમાં કામ કરી રહેલી મહિલા પર અચાનક દિવાલ પડી હતા, આનાથી મહિલાને પગના ભાગે ઇજા પહોંચી હતી, ગંભીર રીતે ઘાયલ થયેલી મહિલાને પાલનપુરની ખાનગી હૉસ્પીટલમા સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ. મૃત્યુ પામેલી મહિલાનું નામ લાડુબેન ભીલ છે. 


હવામાન વિભાગની મોટી આગાહી


હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, પોરબંદરમાં આગાહી છે. પવન ગતિ 41 થી 61 પ્રતિ કલાક રહેશે. આ ઉપરાંત ગાજ વીજ સાથે છુટાછવાયા વરસાદની અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. જે મુજબ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, દિવમાં વરસાદની આગાહી છે. અહીં પવન ગતિ 40 કિલો મીટર પ્રતિકલાક રહેશે. જ્યારે અરવલ્લી , દાહોદ, વડોદરા,ભરૂચ , સુરત, નર્મદા, મહીસાગર, પંચમહાલ, નવસારી, વલસાડ, તાપી, ડાંગ , દમણ દાદારનગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી છે.


અમદાવાદમાં ત્રણ દિવસ પવન સાથે ભારે વરસાદની આગાહી


વાવાઝોડું પસાર થયું પરંતુ હજુ ખતરો ટળ્યો નથી. અમદાવાદમાં આગામી ત્રણ દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના મતે અમદાવાદમાં ત્રણ દિવસ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જો કે આજે સાંજે તેજ પવન સાથે ભારે વરસાદની આગાહી પણ છે. જેના કારણે આજે અમદાવાદમાં એક દિવસ માટે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. તો રિવરફ્રંટ, કાંકરિયા અને બાગ બગીચાઓ પણ બંધ રહેશે. તો ગુરુવારે વાવાઝોડાની અસરના કારણે 30 સ્થળો પર વૃક્ષ અને ત્રણ હોર્ડિંગ્સ ધરાશાયી થયાની ફાયર વિભાગને ફરિયાદ મળી હતી. તો ત્રણ સ્થળો પર વીજપોલ ધરાશાયી થયાની ફરિયાદ મળતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યુ અને કામગીરી કરી હતી. આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.