Biparjoy Cyclone: ગુજરાતમાં બિપરજૉય વાવાઝોડાની અસર વર્તાવવાની શરૂઆત થઇ ગઇ છે, દરિયાકાંઠાના વિસ્તારોમાં હજારોની સંખ્યામાં લોકોનું મોટુ સ્થળાંતર થઇ રહ્યું છે, આ સ્થળાંતરિત થયેલા અસરગ્રસ્તો માટે સરકારના સાયક્લૉન શેલ્ટર્સ હૉમ્સ આશરો બન્યા છે. ગુજરાતમાં ત્રાટકતાં વાવાઝોડા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્મિત કાયમી 76 મલ્ટિપર્પઝ સાયક્લૉન શેલ્ટર્સ (MPCS) આજે જનતા માટે બન્યા આશરો બન્યા છે. બિપરજૉય વાવાઝોડાં સામે રાજ્યભરમાં તાત્કાલિક ધોરણે 1521 શેલ્ટર હૉમ્સ ઊભા કરવામાં આવ્યા હતા. સંભવિત વાવાઝોડાંની અસર હેઠળ આવે એવા રાજ્યના 8 જિલ્લાઓમાંથી 94 હજારથી વધુ લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું છે. 8900થી વધુ બાળકો અને 1100થી વધુ સગર્ભા મહિલાઓને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવી છે.
કુદરતી આફતો સામેની સજ્જતા અને કટિબદ્ધતામાં ગુજરાતનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ હંમેશાં અગ્રેસર રહ્યું છે. ગુજરાતમાં 1600 કિમી લાંબો દરિયાકિનારો હોવાના કારણે, રાજ્યના દરિયાકિનારાના વિસ્તારોમાં અવારનવાર વાવાઝોડાંઓની અસર રહેતી હોય છે. આવા વાવાઝોડાંઓ સામે પહોંચી વળવા અને રાજ્યની જનતાને સુરક્ષિત રાખવા માટે રાજ્ય સરકારે દીર્ઘદ્રષ્ટિ વાપરીને દરિયાકિનારાના વિસ્તારોમાં 76 અદ્યતન સુવિધાઓ ધરાવતા મલ્ટિપર્પઝ સાયક્લોન શેલ્ટર્સ (MPCS) નું નિર્માણ કર્યું છે. આજે રાજ્ય જ્યારે બિપરજૉય વાવાઝોડાંની સંભવિત અસરો સામે લડવા માટે સજ્જ થઈ રહ્યું છે, ત્યારે આ શેલ્ટર્સ જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે.
આ 76 મલ્ટિપર્પઝ સાયક્લૉન શેલ્ટર્સમાં શેલ્ટર જૂનાગઢ ખાતે 25, ગીર સોમનાથ ખાતે 29, પોરબંદરમાં 4, દેવભૂમિ દ્વારકામાં 4, કચ્છમાં 4, અમરેલીમાં 2, જામનગરમાં 1, નવસારીમાં 1, ભરૂચમાં 5 અને અમદાવાદમાં 1 શેલ્ટરનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, બિપરજૉય વાવાઝોડાંને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મક્કમ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કચ્છ-સૌરાષ્ટ્ર વિસ્તારના આ 8 જિલ્લાઓમાં 1521 શેલ્ટર હૉમ્સ તાત્કાલિક ધોરણે ઊભાં કરવામાં આવ્યા છે, જેમાં જૂનાગઢમાં 196, કચ્છમાં 173, જામનગરમાં 56, પોરબંદરમાં 140, દેવભૂમિ દ્વારકામાં 182, ગિર સોમનાથમાં 507, મોરબીમાં 31 અને રાજકોટમાં 236 શેલ્ટર હૉમ્સ ઊભા કરવામાં આવ્યા છે. મેડિકલ ટીમ દ્વારા આ શેલ્ટર હૉમ્સની નિયમિત વિઝિટ કરવામાં આવી રહી છે, અને ત્યાં સ્થળાંતરિત કરાયેલા લોકોની આ ટીમ દ્વારા યોગ્ય આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં સંભવિત વાવાઝોડાથી અસર થઇ શકે એવા કચ્છમાં 46,823, જૂનાગઢમાં 4864, જામનગરમાં 9942, પોરબંદરમાં 4379, દેવભૂમિ દ્વારકામાં 10,749, ગીર સોમનાથમાં 1605, મોરબીમાં 9243 અને રાજકોટમાં 6822 એમ કુલ 8 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ 94,427 જેટલા નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, જેમાં 8930 બાળકો, 4697 વૃદ્ધો અને 1131 સગર્ભા મહિલાઓનો સમાવેશ થાય છે.