જૂનાગઢ: રાજ્યમાં કોરોના સંકટ વચ્ચે બર્ડ ફ્લૂએ ચિંતા વધારી છે. જો કે, હવે ગુજરાતમાં પણ બર્ડ ફ્લૂએ પગ પેસારો કરતા ખળભળાટ મચી ગયો છે. રાજ્યમાં બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ સામે આવ્યો છે. જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં મૃત્યુ પામેલા પક્ષીમાં બર્ડ ફ્લુ જોવા મળ્યો છે.
પક્ષીના સેમ્પલ મધ્યપ્રદેશના ભોપાલ ખાતે મોકલવામા આવ્યા હતા. જાણકારી પ્રમાણે, બાંટવા માણવદરમાં મૃત્યુ પામેલા પક્ષીઓના સેમ્પલ મધ્યપ્રદેશના ભોપાલ ખાતે ટેસ્ટિંગમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં બર્ડ ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આપને જણાવી દઇએ કે, માણાવદર તાલુકાના બાંટવા ખારા ડેમ નજીક પક્ષીઓના મૃતદેહ મળી આવતા તંત્ર તાત્કાલિક અસરથી હરકતમાં આવી ગયું હતું.


રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઝારખંડ અને હિમાચલ પ્રદેશ સહિત કુલ 8 રાજ્યોમાં આ વાયરસને લઇને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વાયરસ પક્ષીઓ માટે ખૂબજ ખતનાક સાબિત થઇ રહ્યો છે.

બર્ડ ફ્લૂની શક્યતાને લઈને 4 પક્ષી અભ્યારણ્ય મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. બર્ડ ફ્લૂ સામેના અટકાયતી પગલારૂપે રાજકોટનું પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલયનું પક્ષી ઘર આવતીકાલથી બંધ રહેશે.