સોમવારે ગુજરાતભરમાં 24 કલાક માટે એલપીજી, પીએનજી અને સીએનજી ગેસનો પુરવઠો બંધ રહેશે તે વાત અફવા છે. ચરોતર ગેસ સહકારી મંડળીના નામે ફરતો થયેલ લેટર ગેરસમજણનાં કારણે ઇસ્યુ થયો હોવાની બાબત સામે આવી છે. દહેજ ખાતે રૂટીન પ્રક્રિયાનાં ભાગરૂપે મેઈટેનેન્સની કામગીરી હાથ ધરાશે તેની ગેસ સપ્લાય પર કોઈ અસર નહિ પડે.


ગુજરાતમાં 24 કલાક ગેસ બંધ રહેશે તે વાત તથ્ય વિહીન છે. આ મામલે ગુજરાત ગેસે ખુલાસો કર્યો કે, સોમવારે તા. 11 જાન્યુઆરીએ ગુજરાત ગેસ દ્વારા અપાતો ભરૂચમાં ગેસ પુરવઠો રાબેતા મુજબ ચાલુ રહેશે. વૈકલ્પિક વ્યવસ્થા કરી ગુજરાત ગેસ ભરૂચમાં તેનો ગેસ પુરવઠો ચાલુ રાખશે. દહેજ ખાતે ગેસ પાઇપ લાઈનમાં મેઈનટેનન્સના કારણે સમગ્ર ગુજરાતમાં તમામ ગેસ સેવાઓ બંધ રહેશે તેવા મેસેજ વાઇરલ થયા હતા. જે અફવા છે.

મેસેજ વાયરલ થયા બાદ ગુજરાત ગેસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી. ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા સ્પષ્ટતા કરાઈ હતી કે, ગુજરાત ગેસના અધિકૃત વિસ્તારના ઔદ્યોગિક, વાણિજયક, સીએનજી અને ઘરેલુ ગ્રાહકોના ગેસના પુરવઠામાં કોઈપણ જાતનો કાપ મૂકવામાં આવશે નહીં અને તમામ ગ્રાહકોને તેમની જરૂરિયાત અનુસાર ગેસનો પુરવઠો મળતો રહેશે જેની નોંધ લેવા વિનંતી.