Lok Sabha Election 2024:  લોકસભા ચૂંટણી 2024ને લઈ ઉમેદવારોની પહેલી યાદી ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી છે.  195 ઉમેદવારોની પહેલી યાદી ભાજપ દ્વારા જાહેર કરવામાં આવી છે. ગુજરાતની 26માંથી 15 બેઠકના ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ઘણા સમયથી ભરુચ બેઠકને લઈને ચર્ચાઓ જોર પકડ્યું છે. બીજેપીએ ફરી વર્તમાન સાંસદ મનસુખ વસાવા પર વિશ્વાસ મુક્યો છે. હવે ભરુચ બેઠક પર ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જંગ જામશે. ભરૂચ લોકસભામાં મનસુખ વસાવા રિપીટ થતા તેમના ઘરે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમની પત્ની સરસ્વતી બેને મીઠાઇ ખવડાવી મો મીઠું કરાવ્યું હતું.


કોણ છે મનસુખ વસાવા?


મનસુખ ધનજીભાઈ વસાવાનો જન્મ 1 જૂન 1957ના રોજ થયો હતો.  તેઓ નરેન્દ્ર મોદીના વડા પ્રધાનપદ હેઠળની ભારત સરકારમાં આદિજાતિ બાબતોના ભૂતપૂર્વ કેન્દ્રીય રાજ્ય પ્રધાન 5 જુલાઈ, 2016 સુધી રહ્યા હતા. તેઓ સૌપ્રથમ 25મી નવેમ્બર 1998ના રોજ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલના ગઢ ગણાતા ગુજરાતના ભરૂચ સંસદીય મતવિસ્તારમાંથી યોજાયેલી પેટાચૂંટણીમાં 12મી લોકસભામાં પ્રથમ વખત ચૂંટાયા હતા.


તેઓ 1998, 1999, 2004, 2009 અને 2014 અને 2019 માં તે જ મતવિસ્તારમાંથી લોકસભામાં ફરીથી ચૂંટાયા હતા. સળંગ 6 વખતથી તેઓ સાંસદ છે. તેમણે 1994માં ગુજરાત સરકારમાં નાયબ મંત્રી તરીકે પણ સેવા આપી હતી. તેમણે ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાંથી સામાજિક કાર્ય (M.S.W.) માં માસ્ટર ડિગ્રી મેળવી છે અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી સ્નાતક (B.A.) થયા છે.


ભરૂચ બેઠક પર 6મી ટર્મ આદિવાસી નેતા મનસુખ વસાવાને ટિકિટ આપવામાં આવી છે.  ભરૂચ લોકસભા ખાતે હવે ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જોરદાર ટક્કર જામશે. ભાજપના સીટીંગ સાંસદ મનસુખ વસાવાને 7ટર્મમાં ફરી ટિકિટ આપી છે.  મનસુખ વસાવા 1998થી આ બેઠક પર પોતાનો કબજો જમાવીને બેઠા છે. મનસુખ વસાવા એ 1995 માં ભાજપમાંથી ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય બન્યા હતા અને મંત્રી તરીકેની જવાબદારી પણ નિભાવી ચુક્યા છે. ત્યારબાદ ભરૂચ બેઠક પર ચંદુભાઈ દેશમુખનું અકાળે મૃત્યુ થયું ત્યારે 1998મા પેટા ચૂંટણીમાં આદિવાસી નેતા મનસુખ વસાવાને ભરૂચ બેઠક પરથી સાંસદ તરીકેની ટિકિટ આપવામાં આવી હતી. 1998થી ભાજપે બેઠક જાળવી રાખી.  જોકે આ બેઠક સ્વ.એહમદ પટેલનો ગઢ ગણાતો હતો ત્યાં મનસુખ વસાવા એ જીત મેળવી હતી.  


1998 બાદ ભાજપ આ બેઠક પર કદી હાર્યું નથી. 1998,1999,2004,2009,2014 અને 2019 એમ 6 ટર્મથી મનસુખ વસાવા જીતતા આવ્યા છે. ભરૂચ બેઠક ઓપન બેઠક છે પણ અહીં આદિવાસી સમાજના વોટ વધુ હોવાથી આદિવાસી નેતાનું પ્રભુત્વ રહ્યું છે.  ત્યારે 7મી વાર પણ ભાજપે આદિવાસી સમાજના મનસુખ વસાવા પર મહોર મારી છે. ભરૂચ લોકસભા બેઠકમાં 7 વિધાનસભા જંબુસર,વાગરા, ઝઘડિયા, ડેડીયાપાડા, કરજણ, ભરૂચ અને અંકલેશ્વરનો સમાવેશ થાય છે. જેમાં હાલ 6 વિધાનસભા ભાજપ પાસે છે અને માત્ર ડેડીયાપાડા વિધાનસભા આમ આદમી પાર્ટી પાસે છે.


જોકે ડેડીયાપાડા વિધાનસભામાં 1 લાખ થી વધુ મતો મેળવનાર ચૈતર વસાવાને ઇન્ડિયા ગઠબંધન દ્વારા ભરૂચ લોકસભા બેઠક પરથી ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. ચૈતર વસાવા અને મનસુખ વસાવા સમાજની દ્રષ્ટિએ મામા અને ભાણાના સબંધ ધરાવે છે. ચૈતર વસાવા કે જેઓ એ ભરૂચ લોકસભામાં તેમનો ચૂંટણી પ્રચાર જોરશોરથી શરૂ કરી દીધો છે ત્યારે 6 ટર્મથી ભરૂચ લોકસભા બેઠક જીતનાર મનસુખ વસાવા સામે તેમની સીધી ટક્કર જોવા મળશે.  સાંસદ મનસુખ વસાવા દાવો કરી રહ્યા છે કે ભરૂચ લોકસભા બેઠક 5 લાખ કરતા પણ વધુ મતોથી વિજેતા થઈશું. ગત ચૂંટણીમાં 3.30 લાખ મતોથી મનસુખ વસાવા વિજેતા થયા હતા ત્યારે બીજી બાજુ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા પણ જીતનો દાવો કરી રહ્યા છે. ભરૂચ લોકસભા બેઠક કોણ જીતશે તેતો આવનારી ચૂંટણીનું પરિણામ જ બતાવશે.