Mansukh Vasava Mahuda liquor statement: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઢોલાર ગામે ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ એક એવું મોટું નિવેદન આપ્યું છે, જેનાથી રાજકીય ગરમાવો આવી ગયો છે. આદર્શ ગ્રામ વિકાસ સમિતિની પ્રથમ બેઠકમાં હાજરી આપવા પહોંચેલા સાંસદ વસાવાએ આદિવાસીઓને બુટલેગરોના કેમિકલયુક્ત દારૂથી બચવા માટે ઘરે જ મહુડાનો દારૂ બનાવીને પીવાની ખુલ્લી સલાહ આપી દીધી છે. આ આખા કાર્યક્રમની પ્રસ્તાવના જોઈએ તો, તેમણે નશાના રવાડે ચડેલા યુવાનોને શિક્ષણ પર ધ્યાન આપવા જણાવ્યું છે, ગામના જર્જરિત પંચાયત ભવનનો બચાવ કર્યો છે અને સોશિયલ મીડિયા પર વિરોધ કરી રહેલા વિપક્ષી નેતાઓને પણ આડેહાથ લીધા છે.
વાત જાણે એમ છે કે, મનસુખ વસાવા ઢોલાર ગામે સભાને સંબોધિત કરી રહ્યા હતા. ત્યારે તેમણે બુટલેગરો પર સીધો પ્રહાર કરતા કહ્યું કે, બજારમાં મળતો કેમિકલવાળો ઝેરી દારૂ પીવા કરતા આદિવાસીઓએ ઘરે જાતે જ મહુડાનો દારૂ બનાવીને પીવો જોઈએ. સાથે જ તેમણે આજના યુવાનોને પણ કડક શબ્દોમાં ટકોર કરી હતી. તેમણે કહ્યું કે, યુવાનો ભગવાન બિરસા મુંડાના આદર્શોને ભૂલીને દારૂના રવાડે ચડી ગયા છે. યુવાનોએ આ બધું છોડીને સારું શિક્ષણ મેળવવું જોઈએ અને લાયક બનવું જોઈએ. જો યુવાનો ભણીગણીને લાયક બનશે તો નોકરી હું અપાવીશ તેવી ખાતરી પણ તેમણે સ્ટેજ પરથી આપી હતી.
આ પણ વાંચોઃ
નર્મદામાં ભાજપની હાર બાદ ભડકો: મનસુખ વસાવાએ નેતાઓને ‘કઠપૂતળી’ અને ‘રાક્ષસી વૃત્તિવાળા’ ગણાવ્યા
આ કાર્યક્રમ દરમિયાન ઢોલાર ગામમાં ઉદ્ઘાટન પહેલા જ જર્જરિત થઈ ગયેલા ગ્રામ પંચાયત ભવનનો મુદ્દો પણ ઉછળ્યો હતો. જોકે, સાંસદે આ નબળા બાંધકામનો બધો જ દોષ 'નરેગા' (NREGA) યોજના પર ઢોળી દીધો હતો અને પોતાનો બચાવ કર્યો હતો. પોતાના સંબોધનના અંતે તેમણે વિપક્ષી નેતાઓ પર પણ આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. સોશિયલ મીડિયા પર ભાજપની કામગીરી પર સવાલ ઉઠાવનારાઓને નિશાન બનાવતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, જે લોકો ફક્ત વિરોધ કરી રહ્યા છે તેમને રાજકારણના 'ર' ની પણ ખબર નથી.
આ પણ વાંચોઃ
