અમદાવાદ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે લોકડાઉન 4 અંગેની ગાઈડલાઈન જાહેર કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં કન્ટેઈનમેન્ટ સિવાયના ઝોનમાં વેપાર ધંધાને મજૂરી આપવામાં આવી છે. સવારના 8 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી વેપાર ધંધા શરૂ કરી શકાશે. હેર સલૂન અને બ્યૂટી પાર્લરને શરતી મંજૂરી આપવામાં આવી છે.


કન્ટેનમેન્ટ ઝોનને બાદ કરતા સમગ્ર રાજ્યમાં ઘણી છૂટછાટ આપવામાં આવી છે. જેમાં રીક્ષા, બસ સેવા,પાનના ગલ્લા , ઓફિસો અને અન્ય દુકાનો સહિતની છૂટછાટ આપવામાં આવી છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પાન-ગલ્લા, દુકાનો ખુલ્લા રાખવામાં આવશે. કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં દુકાનો ઓડ અને ઇવન નંબર પ્રમાણે ખોલવામાં આવશે. એક દુકાન પર એક સમયે પાંચથી વધુ ગ્રાહકો ન રહે તેનું ધ્યાન રાખવામાં આવશે. હીરાના કારખાના, લુમ્સના કારખાના 50 ટકાના સ્ટાફ સાથે શરૂ કરી શકાશે.

સમગ્ર ગુજરાતમાં બસો ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ બસો અમદાવાદમાં આવવા દેવામાં આવશે નહી. કન્ટેનમેન્ટ ઝોન સિવાયના જિલ્લામાં અવર-જવર કરી શકાશે. પોતાનું વાહન લઈ લોકો એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં અવર-જવર કરી શકશે. હવે જિલ્લાની કોઈ હદ નહી નડે. હદ કન્ટેનમેન્ટ અને નોન કન્ટેનમેન્ટની ગણાશે. કેસોના આધારે આગામી દિવસોમાં કન્ટેનમેન્ટ ઝોનની યાદીમાં કરાશે ફેરફાર.


સ્કૂલ-કોલેજો, ક્લાસિસ, જિમ, સ્વિમિંગ પૂલ, બગીચા, મોલ,થિયેટર , ધાર્મિક કાર્યક્રમો બંધ રહેશે, સિટી બસ સેવા, ખાનગી સેવાઓ પણ બંધ રહેશે. કન્ટેનમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય કોઈપણ પ્રકારની છૂટ આપવામા નથી આવી.

લગ્નમાં 50 લોકોને જવાની મંજૂરી આપવામાં આવશે. જો કોઈનું મૃત્યું થાય તો 20 લોકોની હાજરીને મંજુરી આપવામાં આવશે.