અમદાવાદઃ ભાજપમાં નિર્ણયો લેવા માટે સર્વોચ્ચ મનાતા પાર્લામેન્ટરી બોર્ડની રચના કરાઈ છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પાર્લામેન્ટરી બોર્ડમાં ભાજપના વિદાય લેનારા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનું પત્તુ કાપી નાંખ્યું છે. પાટીલે વાઘાણી સહિત ચાર દિગ્ગજોનાં પત્તાં કાપ્યાં છે. ભાજપની સ્થાપના પછી પહેલી વાર એવુ બન્યું છે કે, પાર્લામેન્ટરી બોર્ડમાં પૂર્વ પ્રદેશ પ્રમુખને સ્થાન નથી.


પાર્લામેન્ટરી બોર્ડમાં જીતુ વાઘાણી ઉપરાંત ભરતસિંહ પરમાર , મંગુભાઇ પટેલ તથા શંભુપ્રસાદ ટુંડિયાની બાદબાકી કરાઈ છે. રમણલાલ વોરા અને શંભુપ્રસાદ ટુડિયા વચ્ચેના ઝગડામાં દલિત સમાજના પ્રતિનિધી તરીકે કિરીટ સોલંકીને લેવાયા છે. આ બંનેના ઝઘડામાં ડો. કીરિટી સોલંકીને લોચરી લાગ ગઈ છે.

પાટીલે બનાવેલું નવું પાર્લામેન્ટરી બોર્ડ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી કરશે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિત કુલ 12 સભ્યોનો પાર્લામેન્ટરી બોર્ડમાં સમાવેશ કરાયો છે. આગામી બે-ત્રણ દિવસમાં જ રાજ્ય ચૂંટણી પંચ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનુ એલાન કરી શકે છે. ભાજપે બે દિવસ પહેલાં નિરીક્ષકોની નિમણૂંકો કરી છે

પાર્લામેન્ટરી બોર્ડમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ, પરષોત્તમ રૂપાલા , આર.સી.ફળદુ , સુરેન્દ્ર પટેલ, જશવંતસિંહ ભાભોર , ભીખુ દલસાણિયા , રાજેશ ચુડાસમા , કાનાજી ઠાકોર , ડો.કિરીટ સોલંકીનો સમાવેશ કરાયો છે. પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખની નિમણૂક થતાં તેમને પણ બોર્ડમાં લેવાશે.