અમદાવાદઃ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતાં હાલમાં તેમની એપોલો હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સોમવારે ફરી પાટીલનો કોરોના ટેસ્ટ કરાયો હતો. તેમનો પોઝિટીવ રિપોર્ટ આવતાં સી.આર.પાટીલે હજુ વધુ સમય હોસ્પિટલમાં જ રહેવુ પડશે.


બીજી તરફ સોમવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ કોરોના માટેનો રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીનો એન્ટિજન ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. રૂપાણીએ પોતે ટેસ્ટ કરાવતા હોય તેનો વિડીયો બહાર પાડીને લોકોને ગભરાટ રાખ્યા વિના જ કોરોનાનો ટેસ્ટ કરાવવા અપીલ કરી છે.. ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં લોકો સામે ચાલીને કોરોનાના ટેસ્ટ કરાવે એવું અભિયાન શરૂ કરાયુ છે.

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનો પદભાર સંભાળ્યા બાદ સી.આર.પાટીલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં રેલી, જાહેરસભા, કાર્યકરો સાથે બેઠકો યોજી હતી. આ કાર્યક્રમોમાં ભારે ભીડ જામતાં ઘણ નેતા અને કાર્યકરો કોરોનાનો ભોગ બન્યા હતા. છેવટે ખુદ પાટીલ જ કોરોનાથી સંક્રમિત થયા હતા.

છેલ્લા છ દિવસથી અપોલોમાં સારવાર લઇ રહેલાં પાટીલનો સોમવારે ફરી કોરોના ટેસ્ટ કરાયો હતો જેમાં તેમને પોઝિટીવ હોવાનુ નિદાન થયુ હતું. તબીબોના મતે, હજુ પાટીલે એકાદ અઠવાડિયું હોસ્પિટલમાં જ રહેવુ પડશે.