CBSE સ્કૂલો આજથી થશે શરૂ, જાણો સ્કૂલોએ વિદ્યાર્થીઓ પાસે કઈ બાબતનું સેલ્ફ ડેકલેરેશન માગ્યુ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Jan 2021 08:30 AM (IST)
શાળા સંચાલકો શરૂઆતમાં દરેક ક્લાસના માત્ર 50 ટકા વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવશે. વિદ્યાર્થીઓનો છૂટવાનો સમય પણ અલગ અલગ રહેશે.
(ફાઈલ તસવીર)
કોરોના મહામારીના 10 મહિના બાદ હવે આજથી અમદાવાદમાં CBSE સ્કૂલો શરૂ થશે. ઘણી સ્કૂલોએ વિદ્યાર્થીઓને કોરોનાના લક્ષણ ન હોવાનું સેલ્ફ ડેકલેરેશન મંગાવ્યું છે. વિદ્યાર્થીઓની સાથે સાથે તેમને સ્કૂલે મૂકવા આવતાં વાલીઓ પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને ભીડ ન થાય તે માટે તેમણે બાળકોને સ્કૂલના ગેટ પર ઉતારવાના રહેશે. કોઈપણ વાલી કેમ્પસમાં પ્રવેશી શકશે નહીં. સ્કૂલોએ શરૂઆતના તબક્કામાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ન આપવાનો નિર્ણય લીધો છે. જેથી વાલીઓએ જ બાળકોને સ્કૂલે મુકવા અને લેવાની વ્યવસ્થા કરવી પડશે. સ્કૂલોમાં ઓનલાઇનની સાથે ઓફલાઇન ક્લાસ પણ એક સાથે જ ચાલશે. જેથી ઘરે રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર પણ કોઇ અસર થશે નહીં. શાળા સંચાલકો શરૂઆતમાં દરેક ક્લાસના માત્ર 50 ટકા વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવશે. વિદ્યાર્થીઓનો છૂટવાનો સમય પણ અલગ અલગ રહેશે. ધો.10 અને 12ના વિદ્યાર્થીઓના જેટલા પણ વર્ગો થશે તેઓનો છુટવાનો સમય અલગ અલગ રહેશે. દરેક ક્લાસના છુટવાના સમય વચ્ચે 15 મિનિટનો સમય રહેશે. જેથી વિદ્યાર્થીઓ પાર્કિંગ કે લેવા માટે આવેલા વાલીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઇ રહે. અગાઉ 11 જાન્યુઆરીથી ગુજરાત બોર્ડની શાળાઓ શરૂ થઈ હતી.