નવી દિલ્હીઃ કોરોનાના દર્દીઓના હોમ ક્વોરન્ટાઈનને લઈને કેન્દ્રના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી છે. 30મી મેએ જ સરકારે કોરોનાનાં હળવા, મધ્યમ અથવા ગંભીર લક્ષણો ધરાવતાં દર્દીઓને કોવિડ કેર સેન્ટર, ડેડીકેટેડ કોવિડ આરોગ્ય કેન્દ્ર અથવા ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવા સૂચનો જારી કરી હતી. અત્યારે એસિમ્પ્ટોમેટિક લક્ષણો ધરાવતા કેસો વધતા આ માર્ગદશકામાં જરૂરી સુધારા કરવામાં આવ્યા છે.


અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, દર્દીની  સારવાર કરતા મેડીકલ ઓફિસર દ્વારા દર્દીને એસિમ્ટોમેટિક, વેરી માઈલ્ડ સિમ્ટોમેટિક અને પ્રિ-સિમ્ટોમેટિક તરીકે દર્શાવવામાં આવ્યો હોય તો તેને હોમ ક્વોરન્ટાઈન કરીને સાજા થવાની છૂટ આપી શકાશે. તેના માટે દર્દી પાસે ઘરે આઈઝોલેશન માટેની સુવિધા હોવી જોઈએ તથા તેના સંપર્કમાં આવતા લોકો માટે પણ આઈસોલેશન સુવિધા હોવી અનિવાર્ય છે.

ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા તેમજ એચઆઈવી,  ટ્રાન્સપ્લાન્ટ, કેન્સર થેરેપીના દર્દીઓને હોમ આઇસોલેશનની મંજૂરી આપવામાં આવતી નથી.

60 વર્ષથી વધુ ઉમરના વૃદ્ધ દર્દીઓ અને હાયપરટેન્શન, ડાયાબિટીઝ, હ્રદયરોગ, ક્રોનિક ફેફસાં, યકૃત, કિડની તેમજ સેરેબ્રો-વેસ્ક્યુલર જેવાં રોગની ધરાવતા દર્દીઓને સારવાર કરતાં તબીબી અધિકારી દ્વારા યોગ્ય મૂલ્યાંકન કર્યા પછી જ હોમ આઇસોલેશન માટેની મંજૂરી આપવામાં આવશે.

દર્દીની સંભાળ રાખવા માટે એક વ્યક્તિ 24 કલાક હાજર હોવી જોઈએ. તેમજ આઇસોલેશનના સમયગાળા  દરમિયાન દર્દી અને હોસ્પિટલ વચ્ચે યોગ્ય કમ્યુનિકેશન થાય તે અનિવાર્ય છે. દર્દીના સંભાળ રાખનાર તેમજ દર્દીના નજીકના બધા સંપર્કોએ અને સારવાર કરતાં ડાક્ટર્સ દ્વારા સૂચવ્યા મુજબ હાઇડ્રોક્સિક્લોરોક્વિન પ્રોફીલેક્સીસ લેવી જોઈએ.

હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓની તબિયતની સ્થિતિનું કોલ સેન્ટર દૈનિક ધોરણે ફોલોઅપકરશે તેમજ ફીલ્ડ સ્ટાફ / સર્વેલન્સ ટીમો વ્યક્તિગત રીતે દર્દીની પરિસ્થિતિની જાણકારી મેળવશે.

ફિલ્ડ સ્ટાફ-કોલ સેન્ટર દ્વારા દર્દીઓનો કલીનીકલ(શરીરનું તાપમાન, પલ્સ રેટ અને ઓક્સિજન સેચ્યુરેશન) રેકોર્ડ રાખવામાં આવશે. સાથે જ દર્દીના કેર ટેકરને પણ ફિલ્ડ સ્ટાફ દ્વારા સૂચનાઓ આપવામાં આવશે જેનું કડકપણે પાલન કરવાનું રહશે.

ત્રણ દિવસ તાવ ન આવે તો ડિસ્ચાર્જ આપી દેવાશે

હોમ આઇસોલેશન હેઠળ રહેલા દર્દીને લક્ષણોના શરૂઆતના 10 દિવસમાં જો 3 દિવસ સુધી તાવ ન આવે તો તેને ડિસ્ચાર્જ કરવામાં આવશે. ત્યારબાદ દર્દીને હોમ આઇશોલેશનમાં વધુ 7 દિવસ સુધી રહેવું પડશે. હોમ આઇસોલેશનનો સમય સમાપ્ત થયા પછી પરીક્ષણની જરૂર નથી.

દર્દીએ હોમઆઈસોલેશનમાં શી કાળજી લેવી પડશે

- હોમ આઈસોલેશન દરમિયાન દર્દીએ હંમેશાં ટ્રિપલ લેયર મેડિકલ માસ્કનો ઉપયોગ કરવાનો રહેશે.

- માસ્કને એક ટકા સોડિયમ હાઇપો-ક્લોરાઇટથી ડીસઇન્ફેકટ કર્યા પછી જ તેનો નિકાલ કરવાનો રહેશે. દર્દીએ નક્કી કરેલા રૂમમાં ઘરના અન્ય લોકોથી દૂર રહેવું જોઈએ.

- દર્દીએ વધુમાં પ્રમાણમાં પ્રવાહી લેવું જોઈએ અને પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી જોઈએ. વારંવાર સાબુ અને પાણીથી 40 સેકન્ડ્સ સુધી હાથ ધોતાં રહેવું અથવા આલ્કોહોલવાળા સેનેટાઈઝરથી સાફ કરતાં રહેવું જોઈએ.

- ટેબ્લેટ્સ, ડોર નોબ્સ, હેન્ડલ્સ, વગેરે કે જેને વારંવાર સ્પર્શ કરવામાં આવે છે તેને 1 ટકા હાયપોક્લોરાઇટ સોલ્યુશન વાપરીને સાફ કરવા જરૂરી છે.

- દર્દીને તેના રૂમમાં જ ખોરાક પૂરો પાડવો આવશ્યક છે. દર્દી દ્વારા ઉપયોગમાં લેવાતા અન્ય વાસણો તેમજ ડીશને સાબુ -ડીટરજન્ટ અને ગ્લોવ્ઝ પહેરી પાણીથી સાફ કરવા જોઈએ. વાસણોનો ફરીથી ઉપયોગમાં કરી શકાય છે.