Chaitar Vasava: આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાથી ધારાસભ્ય ચૈતર વસાવા 48 દિવસ બાદ જેલમુક્ત થયા હતા. જેલ બહાર મોટી સંખ્યામાં સમર્થકોએ તેમનું સ્વાગત કર્યુ હતું. ચૈતર વસાવા વિધાનસભાના બજેટ સત્રમાં હાજરી આપી શકશે.



મળતી જાણકારી અનુસાર, ચૈતર વસાવાને નર્મદા, ભરુચની હદમાં ન રહેવાની શરતે જામીન આપવામાં આવ્યા છે. શરતી જામીન હોવાથી ચૈતર વસાવા ગાંધીનગરમાં રહેશે. તેઓ વિધાનસભાના બજેટ સત્રમાં હાજરી આપી શકશે. તેઓ ગાંધીનગરના સેક્ટર સાતમાં રહેશે.


હાઇકોર્ટમાં અપીલ કરીશુઃ ચૈતર વસાવા 


જેલમાંથી બહાર આવતા ચૈતર વસાવાએ કહ્યું હતું કે મને રાજકીય ષડયંત્ર હેઠળ ફસાવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આ મામલે હાઇકોર્ટમાં અપીલ કરીશું. આદિવાસીઓ માટે અમે બોલીએ છીએ. રાજ્ય સરકાર ખોટા ષડયંત્ર કરે છે.


વસાવાએ કહ્યું હતું કે આદિવાસીઓના અધિકાર માટે અમે લડીશું. આદિવાસી સમાજ માટે વિધાનસભામાં પણ લડીશું. તેમણે કહ્યું હતું કે ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડીશું અને જીતીશું. લોકહિત,લોકશાહી માટે અમે લડીશુ. ગઠબંધન જે પણ હશે તે મુજબ લડીશુ. રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ જે નક્કી કરશે તે મુજબ લડત આપીશું.                      


શું છે કેસ? 


નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પંથકની જંગલની જમીન પર અમુક લોકોએ ગેરકાયદેસર રીતે કબજો કર્યો હતો. આ જમીનનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો હતો જે  તંત્રના ધ્યાને જતા વન વિભાગના અધિકારીઓ દોડી ગયા હતા અને કામગીરી અટકાવી હતી. દરમિયાન જમીન પર ખેડાણની બાબતમાં ત્યાં ચૈતર વસાવા અને વન વિભાગના કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ જતા મામલો ઉગ્ર બન્યો હતો. આ મામલે પોલીસ ફરિયાદ થતા અમુક લોકોની ધરપકડ પણ થઈ હતી. જે સમગ્ર મામલે ચૈતર વસાવા વિરૂદ્ધ વિન વિભાગે ફરિયાદ નોંધી હતી. ચૈતર વસાવા પર વન વિભાગના કર્મચારીઓને ધમકાવવાનો આરોપ લાગ્યો હતો. મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યા અનુસાર, ફોરેસ્ટ વિભાગે નર્મદા પોલીસ સ્ટેશનમાં આ મામલે રજૂઆત કરી હતી. ફરિયાદ બાદ પોલીસે IPCની કલમ 386 હેઠળ ચૈતર વસાવા સામે ગુનો દાખલ કર્યો હતો.