Chandipura Virus Cases Gujarat: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ ભરડો લઈ રહ્યો છે. તાજા આંકડા પ્રમાણે, ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના હાલ 157 દર્દીઓ સારવાર હેઠળ છે. ગુજરાતના 68 દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે, જ્યારે 59 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સાબરકાંઠમાં 17, અરવલ્લીમાં આઠ, મહિસાગરમાં ત્રણ કેસ, ખેડામાં સાત કેસ, મહેસાણામાં નવ કેસ, રાજકોટમાં સાત કેસ, સુરેન્દ્રનગરમાં પાંચ કેસ સહિતનો સમાવેશ થાય છે.

  


રાજ્યમાં 157 કેસ પૈકી સાબરકાંઠામાં છ, અરવલ્લીમાં ચાર, મહિસાગરમાં બે, ખેડામાં બે, મહેસાણા અને રાજકોટમાં ચાર-ચાર, સુરેન્દ્રનગરમાં બે, અમદાવાદ કોર્પોરેશનમાં છ, ગાંધીનગરમાં ત્રણ, પંચમહાલમાં સાત, જામનગરમાં ત્રણ, મોરબીમાં ચાર, ગાંધીનગર કોર્પોરેશનમાં બે, દાહોદમાં ત્રણ, વડોદરામાં બે, નર્મદામાં એક, બનાસકાંઠામાં ત્રણ, વડોદરા કોર્પોરેશન દેવભૂમિ દ્વારકામાં એક-એક, કચ્છમાં ત્રણ, સુરત કોર્પોરેશન, ભરુચ, જામનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, પાટણ સહિત કુલ 68 દર્દીઓના મોત થયા છે.


ચાંદીપુરા વાયરસ શું છે ?


ચાંદીપુરા વાયરસ એ આરએનએ વાયરસ છે, જે માદા ફ્લેબોટોમાઇન ફ્લાય દ્વારા ફેલાય છે. આ માટે એડીસ મચ્છર પણ જવાબદાર છે. તે સૌપ્રથમ વર્ષ 1966માં મહારાષ્ટ્રના ચાંદીપુરામાં મળી આવ્યું હતું. આ જગ્યાના નામથી જ તેની ઓળખ થઈ હતી. આ કારણે તેને ચાંદીપુરા વાયરસ નામ આપવામાં આવ્યું.


જ્યારે પ્રથમ કેસની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે રેતીમાં ફરતી માખીને કારણે વાયરસ ફેલાય છે. 2003-04માં આ વાયરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને આંધ્રપ્રદેશમાં જોવા મળ્યા હતા, જ્યારે તેનાથી 300 થી વધુ બાળકોના મોત થયા હતા.


ચાંદીપુરા વાયરસનું સૌથી વધુ જોખમ કોને છે ?


ચાંદીપુરા વાયરસ બાળકોને તેનો શિકાર બનાવે છે. 9 મહિનાથી 14 વર્ષની વચ્ચેના બાળકો સૌથી વધુ જોખમમાં છે. આ ચેપ ત્યારે ફેલાય છે જ્યારે વાયરસ કરડ્યા પછી માખી અથવા મચ્છરની લાળ દ્વારા લોહીમાં પહોંચે છે.


ચાંદીપુરા વાયરસ ફેલાવતી સેન્ડ ફ્લાય માખી કઈ રીતે જોખમી હોય છે?


સેન્ડ ફ્લાય માખી ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર ભેજવાળા વાતાવરણમાં થાય છે.આ સેન્ડ ફ્લાય નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતાં ચાર ગણી નાની હોય છે.સેન્ડ ફ્લાય ગ્રામ્ય વિસ્તારના ખાસ કરીને માટીના ઘરમાં દિવાલની તિરાડોમાં રહે છે. સેન્ડ ફ્લાય દ્વારા ચાંદીપુરા ઉપરાંત કાલા આઝાર જેવા રોગ પણ ફેલાય છે. સામાન્ય રીતે 14 વર્ષ સુધીના બાળકો કે જેમની રોગપ્રતિકારકશક્તિ ઓછી હોય તેમને થવાનું જોખમ રહે છે.