Chandipura virus Gujarat deaths: રાજ્યમાં ચાંદીપુરા કેસની સ્થિતિ ગંભીર જણાઈ રહી છે. રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડા અનુસાર રાજ્યમાં કુલ 58 કેસ જોવા મળ્યા છે જ્યારે 20 બાળકોના ચાંદીપુરા વાયરસને કારણે મોત થયા છે. આ મુખ્યમંત્રી દ્વારા આ મામલે બેઠક બોલાવી હતી.


મુખ્યમંત્રી દ્વારા તા. ૧૮/૦૭/૨૪ ના રોજ જિલ્લા અને કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, અને જિલ્લા/ કોર્પોરેશનની મેડિકલ કોલેજ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષક, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્ય અધિકારી મહાનગરપાલિકા, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી વગેરેની વિડિયો કોન્ફરન્સના માધ્યમથી દૈનિક મોનિટરિંગ અને સુપરવિઝન તેમજ જાહેર જનતાને રોગચાળા નિયંત્રણ અને અટકાયતી કામગીરીથી માહિતગાર કરવા માટે સૂચના આપેલ છે.


આજરોજ સાબરકાંઠા જિલ્લામાં જીએમઇઆરએસ મેડિકલ કોલેજ ખાતે આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલે વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસો અંગે સમીક્ષા કરી હતી. આ પ્રસંગે મંત્રીએ બાળ દર્દીઓની મુલાકાત લઈ તેમની આરોગ્ય પૃચ્છા કરી હતી. ત્યારબાદ ઉપચારાત્મક બાબતો અંગે ડોક્ટરો સાથે ચર્ચા પણ કરી હતી. આ મુલાકાત અને સમીક્ષા બેઠકમાં હિંમતનગર ધારાસભ્ય વી.ડી. ઝાલા, ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ અને કમિશનર, જિલ્લા કલેકટર નૈમેષ દવે, જિલ્લા વિકાસ અધિકારી  હર્ષદ વોરા અગ્રણી કનુભાઇ પટેલ, આરોગ્ય વિભાગના અધિકારીઓ અને તબીબો સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.


જેમાં બાળકને ક્યારે હોસ્પિટલ લવાયા, કેવા લક્ષણો દેખાયા, હાલ બાળકની તબીયત કેટલી સુધારા પર છે તેવી સામાન્ય બાબતો અંગે ચર્ચા કરી હતી. આરોગ્ય મંત્રી દ્રારા આ બાબતે દૈનિક મોનિટરિંગ અને સુપરવિઝન કરવામાં આવે છે તેમજ જાહેર જનતામાં ભયનો માહોલ ના થાય તે માટે પ્રેસ મિડિયાના માધ્યમથી જાહેર જનતાને માહિતગાર કરેલ છે.


ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 58 કેસો છે. જે પૈકી સાબરકાંઠા ૦૮, અરવલ્લી ૦૪, મહીસાગર ૦૨, ખેડા ૦૨, મહેસાણા ૦૩, રાજકોટ ૦૨, સુરેન્દ્રનગર ૦૨, અમદાવાદ કોપેરેશન ૦૪, ગાંધીનગર ૦૪, પંચમહાલ ૦૭, જામનગર ૦૫, મોરબી ૦૪, ગાંધીનગર કોપેરેશન ૦૧, છોટાઉદેપુર  ૦૨, દાહોદ ૦૨, વડોદરા ૦૧, નર્મદા ૦૧, બનાસકાંઠા ૦૧, વડોદરા કોર્પેરેશન ૦૧, ભાવનગર ૦૧ તેમજ દેવભૂમિ દ્વારકા ૦૧ શંકાસ્પદ કેસો મળેલ છે.


આ તમામ પૈકી સાબરકાંઠા ૦૧, અરવલ્લી ૦૧, મહેસાણા ૦૨, પંચમહાલ ૦૧, મોરબી ૦૧, વડોદરા  ૦૧ જીલ્લામાંથી ચાંદીપુરા કુલ ૦૭ કેસ પોઝીટીવ મળેલ છે.


ગુજરાત રાજ્યના ઉપરોક્ત 58 કેસો પૈકી સાબરકાંઠા ૦૧, અરવલ્લી ૦૨, મહીસાગર ૦૧, મહેસાણા ૦૧, રાજકોટ ૦૨, સુરેન્દ્રનગર ૦૧, અમદાવાદ કોર્પેરેશન ૦૩, ગાંધીનગર ૦૧, પંચમહાલ ૦૨, મોરબી ૦૨, ગાંધીનગર કોર્પેરેશન ૦૧, દાહોદ ૦૨, દેવભૂમિ દ્વારકા ૦૧ એમ કુલ ૨૦ દર્દીઓ મૃત્યુ પામેલ છે.


રાજસ્થાનના ૦૨ કેસો જેમાં ૦૧ દર્દી દાખલ છે તેમજ ૦૧ દર્દી મૃત્યુ પામેલ છે. તથા મધ્ય પ્રદેશનો ૦૧ કેસ છે. આરોગ્યની ટીમ દ્વારા કુલ 15414 ઘરોમાં કુલ 87486 વ્યક્તિઓનું સર્વિલન્સની કામગીરી કરવામાં આવેલ છે. કુલ 4340 કાચા મળેલ ઘરોમાંથી કુલ 4340 ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કરવામાં આવેલ છે.


રાજ્યકક્ષાએથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દરેક જિલ્લા અને કોર્પોરેશનને રોગચાળા નિયંત્રણ અને અટકાયતી કામગીરી માટે માહિતગાર કરવામાં આવેલ છે. રાજ્યકક્ષાએથી ગાઈડ લાઈન અને રોગચાળા નિયંત્રણ અને અટકાયતી કામગીરી દ્વારા પત્ર પાઠવેલ છે. દરેક કેસોનું રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા ઇન્વેસ્ટિગેશન કરવા માટે જણાવેલ છે.


જે એરિયામાં આવા કેસો મળેલ છે તે વિસ્તારના વ્યક્તિઓને પર્સનલ પ્રોટેક્ટિવ સાધનો ઉપયોગ કરવા માટે જણાવેલ છે તેમજ આ રોગચાળા અંતર્ગત અટકાયતી કામગીરી માટે આઈઇસી કરવામાં આવેલ છે.


રાજ્યકક્ષાએથી આઈએમએ અને આઈએપીને પત્ર દ્વારા વીડિયો કોન્ફરન્સ અને સીએમઇ કરવા માટે જણાવેલ છે તેમજ હાલમાં કુલ 25 જિલ્લાઓમાં થઈ ચૂકેલ છે અને અન્ય જિલ્લાઓમાં બે દિવસમાં કરી દેવામાં આવશે.


રાજ્યની દરેક ડિસ્ટ્રિક્ટ અને મેડિકલ કોલેજોમા દાખલ થતા આવા દર્દીની તાત્કાલિક સેમ્પલ લઇ એન.આઇ.વી પુને ખાતે મોકલી આપવા માટે જણાવેલ છે. અને આવા કેસોની હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે જણાવેલ છે.


અગ્ર સચિવ અને કમિશનર આરોગ્ય દ્વારા દૈનિક ધોરણે તમામ જિલ્લાઓમાં થતી રોગચાળા નિયંત્રણ અને અટકાયતની કામગીરીનુ મોનિટરિંગ કરવામાં આવે છે.


રાજ્ય કક્ષાની રેપિડ રિસ્પોન્સ ટીમ (નાયબ નિયામક એપિડેમિક અને સ્ટેટ એપીડેમોલોજીસ્ટ ) દ્વારા અરવલ્લી અને સાબરકાંઠાના કેસોની રૂબરૂ વિઝીટ કરેલ છે.